Posts Tagged ‘kavya’

પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

Thursday, September 18th, 2008

 

આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કાલે ૧૭ સપ્ટેમ્બરે જન્મદિન હતો એટલે કે ‘કવિ’ નરેન્દ્ર મોદીનો….તમારી જેમ મને પણ મનમાં પ્રાસ બેસતો નહીં – ‘મુખ્યમંત્રી’  અને ‘કવિ’ ?!! પણ ઈશ્વરે માતૃભૂમિ સાથે માતૃભાષાની સેવા કરવાનો અવસર પણ તેમને આપ્યો છે. કોઈએ એમને સીધેસીધું પણ પૂછી લીધું તો કહે, કેમ હું કોઈ ફર્નીચર છું ? અને એમનાં પુસ્તક ‘આંખ ધન્ય છે’ માં વાંચ્યું કે “મને કોરા કાગળની માયા…..”  હવે આ ફાઈલોના ઢગલાં વચ્ચે તેમને કાવ્યાધાન થયું તે જ તેમની સંવેદનશીલતા. બાકી તો…?!! 

તેમનાં જ શબ્દોમાં કહીએ તો…..

“સફળ થયાં તો ઈર્ષ્યાપાત્ર,
નિષ્ફળ થયાં તો દયાપાત્ર,
સફળ-નિષ્ફળની પાર જઈને,
ત્રીજે કિનારે જઈ ઊભો માત્ર.”

અને આ ત્રીજો કિનારો એટલે કવિતાસર્જન જ ને……

 

અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત
-પાનખરનાં હૈયામાં ટહુકે વસંત.

આજે તો વનમાં કોનાં વિવાહ
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા
આશીર્વાદ આપવા આવે છે સંત
-પાનખરનાં હૈયામાં ટહુકે વસંત.

- નરેન્દ્ર મોદી

આ રચનાને સ્વરબદ્ધ પણ કરવામાં આવી છે અને ગાયું છે પાર્થિવ ગોહિલે.
આ ઉપરાંત અન્ય રચનાને પણ ભૂપીન્દર સીંગ અને રૂપકુમાર રાઠોડનો સ્વર સાંપડ્યો છે.

 

આજે ઊર્મિના જન્મદિને તેની પણ એક ગઝલ માણીશું……

 

 

ફ્લેટને ત્રીજે માળેથી

Thursday, September 11th, 2008

 

તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો,
નીચે આવ્યો તન ઉપરને તુર્ત ફેલાઈ જાતાં,
પેલો પંથી તરફડી રહ્યો શ્વાસ રુંધાઈ જાતાં.

શું છે.. શું છે ? અચરજ થતાં ત્યાં વળ્યું એક ટોળું,
છાંટ્યું કો’કે તરત જળ ને ઉઘડ્યો એક ચ્હેરો !
( ગેલેરીથી ઘટઘટ પીતો દૃશ્ય હું ભવ્યતાનું ! )

ઊઠ્યો એહ ! કડક હલકી ગાળ દેવા ફરીને ,
નાઠો હું તો ઘર મહીં, ડરી ઈચ્છતો ઊડવાને !
( નીચે પેલો કર ઘસી રહ્યો, ઈચ્છતો ઝૂડવાને ! )

ના પાડી મેં પથ તરફ કૈં ફેંકવા શ્રીમતીને,
હે પંથીડા, સુખથી ફરજો ફલેટ પાસે ફરીથી !
રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય આવે ?

આવે તોયે છતરી લઈને, બહાર ન કાઢે માથું ,
કાઢે ક્યાંથી ? સ્મરણ નડશે ક્રૂર આ હસ્તનું ત્યાં !
લાગ્યા ઘાને વીસરી શકવા કોઈ સામર્થ્ય ક્યાં છે ?

- નિર્મિશ ઠાકર

હાસ્ય લેખની સાથે આ હુરટી કવિ પ્રતિકાવ્ય પણ રચે છે અને તે પણ પોતાની આગવી શૈલીમાં….
કલાપીનું તે પંખીની ઉપર પથરો…. વાંચ્યું જ હશે પણ નિર્મિશના શબ્દોમાં  પંથી અને કચરો ફેંકનારની અવદશાને જાણીએ.

 

 

એક ઘા : કલાપી

Thursday, September 11th, 2008

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર ! પડી ફાળ હૈયા મહીં તો !
રે ર ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો,
ક્યાંથી ઊઠે ? હ્રદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિંતુ કળ ઊતરીને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે ! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

( મંદાક્રાન્તા )

- કલાપી

This text will be replaced by the flash music player.
Powered By Indic IME