નેનોના ફુટી નીકળેલાં વિરોધીઓને : કૃષ્ણ દવે
Monday, October 13th, 2008નેનો ….નેનો…..નેનો , ઉફ્…!!
ટીવી, ન્યુઝપેપર(પાછું દરેક કોલમમાં), પાનનાં ગલ્લે, શાકભાજીનાં ગલ્લે કે મોર્નિંગ- ઈવનીંગ વૉક કરવા જાઓ કે અનિમેષભાઈના બ્લૉગ પર પણ ?!! બધે બસ નેનો, નેનો અને નેનો…… તો વૅબમહેફિલ પર પણ ??
થયું એવું કે ગઈકાલે આપણા કવિ કૃષ્ણભાઈ દવે સાણંદ રોડ પરથી પસાર થયાં અને યાદ આવી ગઈ નેનો !! પછી તો શું એમણે પણ એક કવિતા ‘નેનો’ પર લખી જ નાંખી. આમ તો રાજકારણ અને મારે બાર ગાઉનું છેટું પણ આ છેલ્લાં અંતરાની વાત મને ગમી ગઈ કે ઘણાં પરિવારો કદાચ નાનકડી ગાડીનુ સપનું જોઈ શકશે જો નેનો માર્કેટમાં આવશે અને મધ્યમવર્ગનું તો આંગણું આ ગાડીથી શોભી જ ઊઠશે. જો કે આજે સાણંદના રાજવી ઠાકોર જયશિવસિંહજી કહે છે એમની જ જમીન ૧૧૦૦ એકર છે તો કદાચ વિરોધ શાંત થઈ પણ જાય કાં તો મમતાવાળી પણ થાય ? જોઈએ… કોને શું પેટમાં દુ:ખે છે ?
જ્યાંને ત્યાં પાડીએ ના ઘાંટા, જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
મમતાની જેમ ખોટી મમતા ના રાખીએ ને મારગમાં વેરીએ ના કાંટા,
આ તો ગુજરાતની છે જનતા, ને કહી દેશે તમને પણ બાય બાય ટાટા.
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
સૂક્કી ભઠ્ ધરતીમાં ચંદન રોપાય એમાં દુખ્યું ક્યાં પેટમાં બોલો ?
આંધળો વિરોધ આમ કરતા રહો છો કદીક અંતરની આંખને તો ખોલો.
કોઈ શું ઉખેડવાના ? સૌના વિકાસના જે હૈયે નંખાઈ ગયા પાટા.
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
નાનકડું ઘર હોય,નાનકડું આંગણું ને નાનકડી હોય એમાં નેનો !
નાનકડા માણસનું સપનું ફળે છે એમાં વાંધો છે આપશ્રીને શેનો ?
ખુરશી દેખાતી બંધ થઈ ગઈ છે એમાં શું ફળ બધાં લાગે છે ખાટાં ?
જ્યાં ને ત્યાં પાડીએ ના ઘાંટા.
- કૃષ્ણ દવે
( આ રચનાકાર કે વૅબમહેફિલને રાજકારણ સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી.)
