Posts Tagged ‘mono image’

સંબંધ : અલ્પેશ પાઠક ‘પાગલ’ ( Trans : Himanshu Patel )

Friday, May 14th, 2010

 

સંબંધ

એક ગણિત છે

અને ગણિતમાં હું કાચો છું,

પહેલેથી જ !

* * * * *

ભવિષ્યમાં

કદાચ સંબંધ

નામની વસ્તુ

મ્યુઝિયમમાં

સચવાતી હશે !

* * * * *

સંબંધ છળ નથી

પણ સત્ય છે

મૃગજળ જેવું.

- અલ્પેશ પાઠક ‘પાગલ’

 

The Relationship

 

The relationship

Is a Mathematics

And from the begining

I am weak at it !

* * * * *

In the future

Perhaps

The relationship

Will be preserved

As a thing

In a museum !

* * * * *

The relationship

Is not a deception,

It is a truth

Like a mirage !

Translator : Himanshu Patel

 

આ જમાનામાં સંબંધનો બંધ  કેવો ખોખલો થઇ ગયો છે તેનું તાદ્રશ્ય નિરુપણ કરતી રચના.  બસ, એટલું જ સત્ય કે સંબંધ મૃગજળ છે !  હિમાંશુભાઇએ આ પ્રતિક કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કર્યો છે તે પણ રસપ્રદ છે.

 

.

કબૂતર : રાજેન્દ્ર પટેલ

Tuesday, August 11th, 2009

 

kabutar

કબૂતરનું પીંછું

કબૂતર થવા મથે છે

તેથી એ ઊડવાનું ભૂલી ગયું છે.

અજવાળાનું કૂંડાળું તેની આંખમાં ઘૂમરાય

તોય એની પાંખમાં સંચાર થતો નથી. 

ઝાડની કોઈ અજાણી ડાળે બેઠું

છે નિરાંતે….

ડાળ, થડ કે ફૂલ વિષે

એને કશી પડી નથી. 

એ બસ

બારીના પડછાયાને માણવામાં રત

ભૂલી ગયું છે

આખું વન.

ઠરી ગયું છે

અડધું અંગ અને

અડધું મન.

એ ઊડી શકતું નથી

એની એને ખબર નથી.

 

* * * * *

 

કબૂતરને

ચાંચ છે, નખ છે

છતાં એ

હિંસક વિચારો કરતું નથી.

એને પાંખો છે

છતાં વિખેરતું નથી દૃશ્ય.

ઊંઘતા આંખ બંધ કરતું નથી.

તે ઘૂ.. ઘૂ… કરતાં કરતાં

પ્રત્યેક ક્ષણને આવકારે છે.

 

* * * * *

 

કબૂતર કાલે હતું 

આજે છે

કાલે પણ હશે

તેવું બારી સતત કહ્યા કરે છે.

 

* * * * *

 

બારી અને કબૂતર

એકબીજાને

જોતાં-જોતાં

આકાશ થઈ જાય છે

અને બંને અજાણી બારી શોધે છે.

- રાજેન્દ્ર પટેલ

 

કબૂતર તો શાંતિનું પ્રતિક છે પણ જ્યારે રાજેન્દ્ર અંકલ કબૂતર-કાવ્યો લખે છે ત્યારે તે માત્ર શાંતિ-દૂત તરીકે સીમિત નથી રહેતું.  ક્યારેક તે મનુષ્યનાં પ્રતિક રુપે છે તો ક્યારેક મનુષ્યનાં મન રુપે, તો ક્યારેક આત્મા રુપે… !!   પહેલી રચનામાં પીંછું કબૂતર બનવા માગે છે - તે તો જાણે બારીના પડછાયા જોઈ બારીને પેલે પાર જોવા જેવું.   જોકે, તેમ કહી કવિ પામર માનવીને જ ચેતવે છે.  વળી,  બીજી રચના કબૂતરનાં અંગો કરતાં આપણાં નખ અને મોં કે આપણી અન્યની પાંખ કાપવાની વૃત્તિનું ચિત્રણ  નથી લાગતું…. ?!!   આંખ ખુલ્લી રાખી સૂતાં કબૂતરોનું ઘૂ.. ઘૂ… ઘૂ  આપણને પણ જાગૃત કરી દે છે. જો મનની બારી ખુલ્લી હશે તો આશાના દ્વાર આપણા માટે ખુલ્લાં જ છે અને દરેક રસ્તો દરવાજાની બહાર નીકળ્યા પછી જ મળે.   જલન માતરી તો કહે છે,
” હું પકડીને એની પાંખો જ કાપી લઈશ,
કોઈ ગઝલમાં કબૂતર ઉડાડી તો જુએ.”    -  જોકે, રાજેન્દ્ર અંકલ તો કબૂતરકાવ્યોનું પુસ્તક તૈયાર કરી રહ્યાં છે.  વળી, ભાગ્યેશ અંકલ તે કાવ્યો વિષે ગદ્ય નિબંધ પણ લખે છે અને પુસ્તક પ્રકાશિત થતાં જ તે અંગે આપ સૌને માહિતી આપીશ.

 

 

.

છત્રી : પ્રીતમ લખલાણી

Friday, July 24th, 2009

 

ઝરમર વરસતા

આભે

એક સાંજે

છત્રીને કહ્યું :

જો

માણસ

તારી પાસેથી

ઊઘડવાની

કળા શીખી જાય તો !

હું બારે માસ,

મન મૂકીને વરસું !

 

*******

 

માણસને

કોરોકટ જોઈ

છત્રીએ

નિસાસો નાખ્યો -

કે

હાથમાં હાથ રાખીને

આખો મારગડો ચાલી તોય

દુર્ભાગ્ય જ ને !

બે ઘડી

મારી સંગે

ભીંજાતાંય ન આવડ્યું !

 

*******

 

બારી બહાર

આભને

ઝરમર વરસતું જોઈ

ખીંટીએ ઝૂલતી

હરખપદૂડી છત્રીને

આજ

કાગડો થઈ

ઊડી જવાનું મન થયું !

 
- પ્રીતમ લખલાણી

 

‘વરસાદમાં’ ખૂબ ભીંજાયા પછી છત્રીની વાત તો આવે જ ને … !  પણ વરસાદ અને છત્રીને વરસાદમાં માણસ કેવો લાગ્યો એની વાત. બાર-બાર વરસાદી ગઝલ આપણે માણી એમાં આજે એક તેરમી ગઝલનો પણ ઉમેરો હીનાબેનનાં બ્લૉગ પરથી કર્યો છે. તો ફરી એકવાર પલળીએ કવિ રમણ વાઘેલાનાં વરસાદમાં… !

 

 

.

મૂર્તિ : મધુ કોઠારી

Wednesday, June 17th, 2009

 

મૂર્તિને

હું ઓળખી ન શક્યો

તેથી મારે

માણસોને પૂજવા પડે છે !

 

* * * * *

 

મૂર્તિ સ્થિર

પ્રતીક્ષા કરે છે

કોની યુગોથી ?

 

* * * * *

 

મૂર્તિ

એટલે

લાગણીને

મીણમાં ઢાળવી તે

અને ધાતુની ચામડીમાં

જડી દેવી તે.

 

* * * * *

 

કૈં કેટલાય જન્મ

પ્રકાશની ગુફામાં

લીધા પછી

અને સફેદ શ્વાસના

તરાપા પર સદીઓથી

તર્યા પછી

મૂર્તિ બની શકાય છે.

 

- મધુ કોઠારી

 

નિરાકાર , નિર્ગુણ પરમ તત્ત્વ પ્રત્યેની પોતાની લાગણીઓને ધાતુની ચામડીમાં જડી,  મનુષ્ય તેને મૂર્ત સ્વરૂપ તો આપે છે. પણ આ કલિયુગમાં સદ્.ગુરૂ કેમ ઓળખાય અને તે તો બસ ‘માણસ’ – માત્રને જ પૂજે છે !! અને મૂર્તિ પણ જાણે કે ઈશ્વરની શોધમાં  સ્થિર ઊભી રહે છે.  જો કે, પ્રકાશ ( પરમ તત્ત્વની ઓળખ ) ની ‘ગુફા’ માં કૈં કેટલાંય જન્મ લીધા પછી ‘સફેદ શ્વાસ’ ( પુણ્ય )  લીધા હોય તો જ મૂર્તિ બની શકાય છે.

ધર્મમાં પ્રવર્તિત વિડંબનાઓનું કવિ સુપેરે નિરુપણ કરે છે.

 

 

.

મત્સ્ય કાવ્ય : પંકજ ત્રિવેદી

Wednesday, January 7th, 2009

સત્ય

અ-સલામતી
અનુભવતી એક માછલીએ
ઍકવેરિયમમાં
તરતી
બીજી માછલીને કહ્યું -

કાચ ફૂટે
બોમ્બ ફૂટે
અને
હવે તો…..
માણસ પણ….. !

ઉમરકેદ

સોળ વરસની મુગ્ધા
જેવી
સુંદરતા,
ચંચળતા અને
નિર્દોષતાના ગુનાહ બદલ

એક માછલીને
મળી છે ઉમરકેદ
ઍકવેરિયમમાં

આત્મસન્માન

માણસને
તરતો જોઈ
એક માછલીએ
કરી
આત્મહત્યા…!

- પંકજ ત્રિવેદી

મત્સ્ય કાવ્યો એ પંકજભાઈની આગવી ઓળખ છે. જીંદગીની દરેક વસ્તુ અને તે તરફનાં દૃષ્ટિકોણને તેઓએ ખૂબ સુંદર રીતે મત્સ્યના પ્રતિકરૂપે રજૂ કરી છે. તે પછી મુગ્ધા હોય નવોઢા કે આસપાસ પ્રવર્તતો ભ્રષ્ટાચાર …..માત્ર એક જ પ્રતિકમાં લાઘવની કળા કેટલી વિસ્તરી છે ?

 

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME