Posts Tagged ‘pancham shukla’

દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ

Thursday, August 5th, 2010

કઠ ભલે, કર્મઠ બનો,
નેતિ નેતિ નઠ બનો.

મત મતાંતર મઠ બનો,
લીલ લહેરો, લઠ બનો.

વ્હેણ પોતે તઠ બનો,
સર્વ ગળતર ગઠ બનો.

સૌમ્ય, શાલીન સ્વત્વથી,
જાત સાથે શઠ બનો.

સિદ્ધિ, બુદ્ધિ અઠ ગ્રહો,
દર્પ ગાળી દઠ બનો.

- પંચમ શુક્લ

વેદજ્ઞાનને આ ગઝલગાનમાં અનોખી રીતે માણી શકાય છે. સંસારમાં કઠણાઇ (કઠ) તો રહેવાની જ છે, પણ કર્મનિષ્ઠ બની, આપણે આપણું કર્મ કરવું જોઇએ. જો આપણું મન વિચલિત થાય તો, થોડું શઠપણું દાખવી, જાતને છેતરી, સમજાવી ફોસલાવીને પણ, વિચલીત મનને સ્થિર કરવા પ્રયત્ન કરી શકાય.  જો અભિમાન ઓગાળી, નિર્બુદ્ધિવાન બનીએ તો અષ્ટસિદ્ધિ પામતાં વાર નથી લાગતી.   ( ગઝલનો રસાસ્વાદ કરાવવા માટે પંચમભાઈને નમ્ર વિનંતી અને વાચકોને પણ … )

વેદ, ઉપનિષદ કાળથી સાંપ્રત કાળ સુધી , જીવન જીવવાની ઉપરોક્ત કળાને , મુખ્યત્વે ધાર્મિક બનાવી તેનાં આધારે અલગ અલગ સ્વરુપમાં વર્ણવવામાં આવી છે.  પણ ધર્મ એટલે શું ?  હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ …. ?!!   વેદકાલીન ધર્મની વ્યાખ્યા મુજબ, ‘धारयति इति धर्म : ‘  અર્થાત્‌,  જે ધારણ કરીએ છે તે ધર્મ.   અલગ અલગ ધર્મનાં તિલક-ચાંલ્લા, દોરા-ધાગા, વેશ-પરિધાન ધારણ કરીએ એટલે તે ધર્મ ધારણ કરી લીધો ?!!

ના….. ધારણ તો મનુષ્યત્વ કરી, જીવન જીવવાની કળા આત્મસાત્‌ કરવાની છે  અને મનુષ્ય માત્રનો ‘ધર્મ’ એ જ હોઇ શકે.

શબ્દાર્થ :  કઠ – કઠણાઇ, કર્મઠ – કર્મનિષ્ઠ, નઠ -  નઠારું (નિર્લજ્જ ) , મઠ -  આશ્રમ,  લઠ - લાઠી, ડંડો,  તઠ - તટ, કિનારો, ગઠ - ગાંઠ, શઠ - ધૂર્ત, લુચ્ચું,  અઠ – આઠ, ગ્રહો – ગ્રહણ કરવું, દર્પ - અભિમાન, દઠ – બુદ્ધિહીન.

.

ગઝલ બનતી નથી : પંચમ શુક્લ

Saturday, April 24th, 2010

 

બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.

શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.

તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
બેતની તાદાતથી ગઝલ બનતી નથી.

મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.

ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.

સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.

અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.

કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.

બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.

શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.

એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.

ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.

સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

એમ કહીએ : જાતથી ગઝલ બનતી નથી,
એમ નહિં : જગ-તાતથી ગઝલ બનતી નથી !

- પંચમ શુક્લ

 

કવિઓ માટે  ગઝલ રચવી એ પણ એક આકસ્મિક ઘટના જ હોય છે.   કાગળ અને કલમ સિવાય દિવ્ય ચેતનાનો સંચાર પણ જરુરી જ છે.   પણ જ્યારે ગઝલ ન રચાય ત્યારે ?  ગઝલ બનતી નથી… તે વિષે જરુર ગઝલ લખી શકાય.   પંચમભાઈની કલમે સંસ્કૃત અને ઉર્દૂ શબ્દોથી સભર એક સુંદર મત્લા ગઝલ તેમનાં જન્મદિને માણીએ.   શબ્દોનો મર્મ , નવા ગઝલકારોને પણ એટલો જ ઉપકારક છે. 

 

શબ્દાર્થ : ત્રાત -રક્ષણ, બચાવ, અવદાત - શ્વેત, વ્રાત - સંઘ, સમૂહ, કસ્માત્ (સં.) - શાથી, કયા કારણે, વ્યાત્ત્ - ખુલ્લું, ઉઘાડું,  સ્યાત્ -  કોઈ અપેક્ષા, કોઈ માર્ગ. 

 

.

લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ

Friday, April 24th, 2009

 

શબદ બિંધ ઉસ પાર ચઢો,
બિના અશ્વ અસવાર ચઢો.

બાર બાર ગિરનાર ચઢો,
ધરો સાર, સંસાર ચઢો.

ખૂલે સાંસ તપ તાપ તપો,
અગન પંખ અંગાર ચઢો.

સકલ તોડ કા જોડ કહાં?
ડગર એક ટટ્ટાર ચઢો.

પઢો પાઠ, મન ઘાટ ઘટો,
સૂની, દેખી, ચમકાર ચઢો.

હટે નાંહિ જબ નેન લગા,
કદમ ધાર તલવાર ચઢો.

ઊઠી લહર કો થામ લિયો,
લહર લહર કિરતાર ચઢો.

- પંચમ શુક્લ

 

પંચમ શુક્લ બ્લૉગ જગતમાં પોતાની અર્થગહ્.ન કૃતિઓથી જાણીતા છે. ‘ બાપુ-ઘરાના’ ( રાજેન્દ્ર શુક્લ ) ની ગઝલો  પરમ તત્ત્વને સમજવા  જેવી જ ગડમથલવાળી સામાન્ય વાચકને લાગે – તેવી જ પંચમભાઈની પણ… તે જ ઘરાનાની ! !  તેમના જ શબ્દોમાં કહીએ તો બિના અશ્વ અસવારની ચઢવા કે તલવારની ધાર પર બઢવા જેવી વાત ……?!!  આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ. 

 

 

.

તરત મને મળી જજે : પંચમ શુક્લ

Friday, October 10th, 2008

 

 

સ્મરું તને હું જે ક્ષણે,તરત મને મળી જજે,
આ શ્વાસનાં કણે કણે,તરત મને મળી જજે.

તું ફક્ત તા’રા તારણે તરત મને મળી જજે,
ન અન્ય કોઈ કારણે તરત મને મળી જજે.

નિરંતરા નિબિડ અરણ્યમાં તો હું ભૂલો પડું,
આ ફૂલ-છોડ આંગણે,તરત મને મળી જજે.

વિરાટ વિશ્વના ફલક ઉપર ભલે ભમ્યાં કરે,
આ બારણે,આ પાંપણે તરત મને મળી જજે.

સજા હું આકરી કરું તને, કે તું મને કરે,
ખરા અણીના ટાંકણે તરત મને મળી જજે.

- પંચમ શુક્લ

બ્લૉગજગત આ નામથી જરાપણ અજાણ્યું નથી જ પણ તેમની સાથે આજે પ્રત્યાયન કરીશું વૅબમહેફિલ દ્વારા. શિષ્ટાચાર નિભાવવા ઈશ્વરને કહેવું પડે -’મળી જજે’ પણ ઉત્કંઠા બોલી ઉઠી છે ‘તરત મને મળી જજે’ અને તે પણ શ્વાસનાં કણે કણે. મને તો બસ તને મળવું છે- હા, કોઈ તાર્કિક દલીલો નથી મારી પાસે તું બસ તારા તારણે મળી જજેને. વિરાટ બ્રહ્માંડના અણુ-અણુમાં તારો વાસ પણ મને તો મારી પાંપણોમાં તું વસી જાય તો ય બસ !! 

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME