Posts Tagged ‘rajanikumar pandya’

મેઘદૂત : કાલિદાસ (અનુ : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )

Tuesday, July 13th, 2010

Meghdoot coverpage

સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા (૧)

कश्चित् कान्ताविरहगुरुणा स्वाधिकारात्प्रमत्त: शापेनास्तड्ग्मितहिमा  वर्षभोग्येण  भर्तु: ।
यक्षश्चक्रे जनकतनयास्त्रानपुण्योदकेषु स्त्रिग्धच्छायातरुषु  वसतिं  रामगिर्याश्रमेषु  ॥१॥

તે અદ્રિમાં, જ્યમ ત્યમ, કરી કામિ યક્ષે નિવાસ,
વ્હાલીકેરો વિરહ સહિને, ગાળિયા કૈક માસ;
અંગે ઝાઝો કૃશ થઈ જતાં,કષ્ટથી શોચી શોચી,
સોનાકેરું સરિ ગયું કડું, દૂબળા હાથમાંથી ;
વપ્રક્રીડા કરિ, ગિરિતણાં શૃંગ ઉથામવાને,
નીચું માથું કરિ, નમિઉભો હસ્તિ ના હોય જાણે;
ઘેરાયેલો નિકટ જઈને, શિખ્ખરે પર્વતોનાં,
દીઠો એણે, રમણિય નવો મેઘ આષાઢ થાતાં (૨)

तसिमन्नद्रौ कतिचिदबलाविप्रयुक्त: स कामी नीत्वा मासान् कनकवलयभ्रंशरिक्तप्रकोष्ठ: ।
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुं  वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं  ददर्श  ॥२॥

તેને દેખી કુતૂહલ થતાં ; નેત્રથી માંડી લક્ષ, બેળે બેળે,
ક્ષણ રહિ ઊભો, યક્ષ તેની સમક્ષ ;
થંભાવીને, વિરહદુઃખનાં આંસુઓ ઝાઝીવાર ;
લાગ્યો ઉંડા કંઈક કરવા, ચિત્તમાંહે વિચાર ;
પ્રેમી સાથે, સુખથી વસતા હોય તેવા જનોની,
થાયે સ્‍હેજે ચલિત મનની વૃત્તિઓ, મેઘ દેખી ;
તો શું કે’વું પ્રણયિજનનું, વ્હાલિ જેની વિયોગે,
જૂદી થાતાં તલસિ રહી છે, કંથને ભેતવાને (૩)

तस्य स्थित्वा कथमपि पुर: कौतुकाधानहेतो: अन्तर्बाष्पश्चिरमनुचरो  राजराजस्य  दध्यौ  ।
मेघालोके भवति सुखिनोऽप्यन्यथाव्रत्ति चेत: कण्ठाश्लेषप्रणयिनि  जने किं पुनर्दूरसंस्थे  ॥३॥

દેખી વર્ષા નિકટ, સખીનાં પ્રાણ ઉગારવાને,
સંદેશામાં, કુશળ ખબરો કા’વવા મેઘ સાથે ;
તાજાં ખીલ્યાં કુટજ કુસુમે, હર્ષથી આપી અર્ઘ,
પ્રીતિભીનાં વચનથી દિધો, મેઘને આવકાર (૪)

प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी जीमूतेन स्वकुशलमयीं  हारयिष्यन्  प्रव्रत्तिम्  ।
स प्रत्यग्रै: कुतजकुसुमै: कल्पितार्घाय  तस्मै  प्रीत: प्रीतिप्रमुखवचनं  स्वागतं  व्याजहार  ॥४॥

ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા,
ક્યાં સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લૈ જવાતા,
એવું કાંઈ ન લહિ, અધીરો યાચતો યક્ષ એને,
કામી નિશ્ચે જડ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે (૫)

धूमज्योति: सलिलमरुतां संनिपात: क्व मेघ: संदेशार्था: क्व पतुकरणै: प्राणिभि: प्रापणीया: ।
इत्यौत्सुक्यादपरिगणयन् गुह्यकस्तं ययाचे कामआर्ता हि प्रक्रतिक्रपणाश्चेतनाचेतनेषु  ॥५॥

- કાલિદાસ

( અનુવાદક :  કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )

( સંપાદક : રજનીકુમાર પંડ્યા )

મહાકવિ કાલિદાસ રચિત ” મેઘદૂતમ્ ” નાં આશરે ચાલીસેક અનુવાદ માત્ર ગુજરાતી ભાષામાં જ થયાં છે.   આ મહાકાવ્યમાં કુબેરની સેવા કરતો યક્ષ, સ્વામીસેવા વીસરી પ્રિયતમા સાથે સમય વીતાવે છે. અને ત્યારે ગુસ્સે થયેલાં કુબેર યક્ષને એક વર્ષ સુધી, પ્રિયતમાથી દૂર રહેવાનો શ્રાપ આપે છે. આ વિરહકાળ દરમિયાન રામગિરિ ( હાલમાં નાગપુર પાસે આવેલ રામટેક ) પરથી પસાર થતાં મેઘને જોઇ, યક્ષની વિરહવેદના અતિક્રમી જાય છે.  અંતે,  યક્ષ સજીવ-નિર્જીવનો ભેદ પણ ન સમજ્યાં વિના, મેઘને જ  દૂત બનાવી, કૈલાસ પર્વત પર આવેલ અલકાનગરીમાં પોતાની પ્રિયતમાને સંદેશો મોકલાવે છે.  કવિ રામગિરિથી અલકાનગરી સુધીનો માર્ગ  મેઘને બતાવે છે જેમાં અદ્‌ભૂત પ્રવાસવર્ણનો, પ્રકૃતિવર્ણનો પણ માણી શકાય છે.

સૌ વિદ્વાનો અને સાહિત્યરસિકો  કિલાભાઇ ઘનશ્યામે  ઈ.સ. ૧૯૧૩માં  કરેલ સમશ્લોકી અનુવાદને શ્રેષ્ઠતમ માને છે.  નવનીતભાઇ શાહ, ફિઝાબેન શાહ અને રજનીકુમાર પંડ્યા અન્ય ગુણીજનોની મદદ થકી, માર્ચ ૨૦૧૦માં તેમનાં અનુવાદને અન્ય રસપ્રદ માહિતી સાથે પુનઃમુદ્રિત કરે છે. વળી, પુસ્તકમાં નામાંકિત ચિત્રકારોની કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત તેની સંગીતમય રજૂઆત આશિતભાઇ દેસાઇ અને પ્રફુલ્લભાઇ દવેએ કરી છે.  પુસ્તક અંગે વિસ્તૃત માહિતી આપને ઉર્વીશભાઇનાં બ્લૉગ પરથી મળી શકશે. ( સંસ્કૃત શ્લોક  : રક્ષિત પંડિત )

.

This text will be replaced by the flash music player.
Powered By Indic IME