Posts Tagged ‘sunil shah’

કલમ ઉપાડી છે : સુનીલ શાહ

Friday, August 6th, 2010

આંખ ઊંડી ને ખાલી પેટ લઈ ગુજારી છે,
મેંય પથ્થરો માફક જિંદગી ઉપાડી છે.

રાત જ્યાં વીતે છે એ ફૂટપાથ સાક્ષી છે,
આભ ને ધરા વચ્ચે કેટલી ઉદાસી છે !

રોજ પથ્થરોમાં મેં શોધ આદરી તારી,
શી ખબર કે તેં ઈશ્વર, જાત ક્યાં છુપાવી છે !

હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

- સુનીલ શાહ

આપણાં સૌની દોરી ઈશ્વરનાં હાથમાં જ રહેલી છે અને ભાગ્ય જાણવા, ઉછાળેલાં સિક્કાની બન્ને બાજુ પણ… તેના જ હાથમાં. સુખ કે દુઃખ જે પણ આવે/આપે,  ઈશ્વર પર શ્રદ્ધા રાખી જીવીએ તો જિંદગી અઘરી નહીં લાગે !

.

રસ્તો થઈ જશે : સુનિલ શાહ

Tuesday, February 9th, 2010

  

પગલું મૂક્યું છે તો રસ્તો થઈ જશે,
માપવાનો ખુદને, મોકો થઈ જશે.

એક બારી હું ઉઘાડું, એક તું,
સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

તું પુરાવા પ્રેમના માંગીશ ના,
સ્પર્શ કેવળ કર, ભરોસો થઈ જશે

ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
છાંયડો કોઈને ઓછો થઈ જશે.

તું વહે છે, તો વહ્યા કરજે સતત,
ભીતરી મૃગજળનો દરિયો થઈ જશે.

લાગણીનો ચાલ, માળો ગૂંથીએ,
શ્વાસ તારો, શ્વાસ મારો થઈ જશે. (તા.ક.)

- સુનિલ શાહ 

 

સુનિલભાઈ પગલું મૂકી રસ્તો શોધવાની વાત ખુમારીપૂર્વક કરે છે, તો ભીતરી નકારાત્મક ભ્રમણાઓનાં ‘મૃગજળ’ને દરિયો પણ બનાવી દે છે.   ડાળ તૂટે તો ય ધ્રાસ્કો તો એમ જ પડ્યો, કે કોઈનો છાંયડો ઓછો થઈ જશે. અને  એ જ તો ખુદને માપવાનો મોકો છે.  ખુદા માટે પણ…  આપણને માપવાનો મોકો… !!

 

વારતા : સુનિલ શાહ

Friday, April 3rd, 2009

oriental-clock 

કોણે માંડી’તી સમયની વારતા..?
અંતમાં, જે થઈ પ્રલયની વારતા.

શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
તો વ્યથા થઈ જાય લયની વારતા.

એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
કે, લખાશે એક ઉદયની વારતા.

આપણામાં કૈંક ખૂટે છે હજી,
એટલે ના થઈ વિલયની વારતા.

ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,
ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.

- સુનિલ શાહ

 

વૈજ્ઞાનિકો બ્રહ્માંડ, પરગ્રહવાસી અને અન્ય કેટલીય શોધખોળોમાં રચ્યાપચ્યા છે અને હજુ તેનો તાગ નથી મેળવી શક્યાં ત્યાં સુનિલભાઈ તો સમયની પેલે પાર જઈ સમયની વારતાનાં પગરણ શોધે છે. મૂળ વિજ્ઞાનનો જીવ ખરોને. …..!!  નેટજગતમાં ગુજરાતી સાહિત્યને રજૂ કરવાના આપણાં સકારાત્મક અભિગમ સિવાય નેટજગત પર અને તેની બહાર પણ તેનાં સકારાત્મક અને નકારાત્મક પરિણામો અંગે ચર્ચા થતી હોય છે. વધુ વાદ-વિવાદોમાં પડ્યા સિવાય નકારાત્મકની સાથે તટસ્થતાપૂર્વક સકારાત્મક પરિણામ અંગે જોવાય તો ઊર્મિ અને સુનિલભાઈ નેટજગતનાં સબળા અને ઉજળાં પાસાં છે.  જો કે તેનો શ્રેય વિવેકભાઇને જશે. નેટજગત પર સતત નજર રાખી તેમણે નેટજગતને તો સમૃદ્ધ તો રાખ્યું જ પણ અન્ય ગુનાખોરી પણ અટકી. તો છંદની સતત ટકોરને કારણે આજે ઊર્મિ અને સુનિલભાઈ સુંદર ગઝલો પણ રચતાં થઇ ગયાં છે.  હમણાં જ સુનિલભાઈની એક ગઝલ ‘કવિ’ સામયિકમાં પ્રગટ પણ થઈ.

મિત્રો, મને તો મત્લાનો શેર જ ગમી ગયો .. ઈશ્વરને કેવો મીઠો ઠપકો…. અરે, પ્રલયમાં જો સૃષ્ટિનો અંત જ આણવો છે તો સમયની વારતા શું કામ માંડી ? ભૂકંપ યાદ કરી જોજો, મને ત્યારે બરાબર આવી જ લાગણી થયેલી !!  પથ્થરનાં ઘા ઝીલી શાંત જળનો લય પણ વ્યથિત થઈ જતો હોય છે. પણ અસ્ત થતા સૂરજની સવાર ઉદયની વારતાથી જ થાય છે ને ! એક પ્રેરણાત્મક બળ પૂરું પાડી વળી આપણને ચેતવે છે કે કઈક ખોટ આપણામાં જ નથી ને ?  જો કે સનાતન સત્ય તો એ જ છે કે, સોળે કળાએ ખીલેલા ચંદ્રની કિસ્મતમાં પણ ક્ષયની વારતા લખાયેલી જ છે.

મિત્રો , આજે સુનિલભાઈને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે નેટજગત સાથે ગુજરાતી સાહિત્યને પણ ખૂબ સમૃદ્ધ કરે…. !! અને હા, આજે તેમની કડક ધમકી હોવા છતાં તેમનો આભાર પણ માની જ લઉં કારણ હું બહારગામ હોઉં કે હમણાં જમણા હાથે ફ્રેક્ચર થયેલું છે તો વૅબમહેફિલ અપડૅટ કરવામાં કે ગમતી ગઝલ ટાઇપ કરીને પણ મોકલી આપે છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આભાર સહ….

 

 

.

ગઝલ : સુનિલ શાહ

Saturday, October 4th, 2008

 

 તૂટેલા પાત્રથી હું જામ છલકાવી નથી શકતો,
*સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો.

દીવાને રાખવાનાં સૌ પ્રયત્ન છે જ મારાં પણ,
હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો.

નથી સમજાતું આંસુ છે કે છે કોઈ પથ્થર ?
હું મારી પાંપણોનો બોજ ઊઠાવી નથી શકતો.

જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.

ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

જશે ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?

- સુનિલ શાહ 

મિત્રો , ગઈકાલે આપણે ગનીચાચા જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલ તરહી મુશાયરામાં રજૂ થયેલ ગૌરાંગભાઈની ગઝલ માણી. એ જ કાર્યક્રમમાં આપણા નેટજગતના મિત્ર સુનિલભાઈ શાહને પણ આ કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ મળેલું. અને ખરે જ આપણા સૌ માટે આનંદ અને ગર્વની વાત છે કે, આટલા નામાંકિત કવિઓ વચ્ચે તેઓએ પોતાની આ રચના રજૂ કરી.  છંદ ના આવડતા હોય તે સૌ માટે આજે તેઓ પ્રેરણારૂપ બની શક્યાં છે બસ જરૂર છે ધગશની…. !!

હવાને અટકાવી નહીં શકવાની કે પંખીને જેમ નહીં ઊડી શકવાની વાત કરી માનવીની લાચારી કે કુદરતની મહાનતાની વાત કેટલી સહજતાપૂર્વક કરી છે. ભલે મનુષ્ય ચાંદ પર પહોંચ્યો પ્રયોગશાળામાં ચાંદ બનાવી તો નહીં જ શકે અને આ વાત એણે સ્વીકારવી જ રહી.  લોહીઝાણ કલમે જ આ ગઝલ લખાય અને તો ય આ શાહી કે લોહીની ભીતરનો ભેદ શબ્દોમાં સ્પષ્ટ કરી શકાય છે ? તો – દુ:ખ અને દર્દ તો સમંદરની લહર સમાન છે એ તો કિનારાને ભીંજવશે જ પણ તો શું સ્મિત ભૂલી જવું યોગ્ય છે ?!!

* (તરહી પંક્તિ) 

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME