Posts Tagged ‘umashankar joshi’

શ્રાવણ હો ! : ઉમાશંકર જોશી

Tuesday, July 20th, 2010

shravan panihari

શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા ! અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં, હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

આછાં  છાયલ અંગનાં,  જોજે  ના  ભીંજાય,
કાચા  રંગનો  કંચવો,  રખે  ને  રેલ્યો  જાય.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર ;
તું વરસીને રહી જશે, એનો બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા ! શ્રાવણ હો !

- ઉમાશંકર જોશી

શ્રાવણી સવારે, માથે હેલ લઇ પાણી ભરવા નાયિકા ચાલી, પણ, ગગનમાં  વાદળો  છવાયેલાં જોઇ તે શ્રાવણને નહીં વરસવા વિનંતી કરે છે.  શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ મા !  તારે તો સરવડાં એટલે કે, તું તો, થોડુંક વરસીને રહી જઇશ, પણ મારું તો  હૈયું ભીંજાઇ જશે.  વળી, ભીંજાયેલું હૈયું , પિયુને સાંભરશે ત્યારે મારા નયનોમાંથી અવિરત આંસુની ધારા બારેમાસ વહેશે તેનું શું ?

શબ્દાર્થ : છાયલ -  ( સંસ્કૃત – છાયાવત્‌ ) છાપેલી સાડી.   કંચવો – ( સંસ્કૃત – કંચુક ) કમખો, કાપડું, બ્લાઉઝ.   સરવડાં – ઝાપટું, થોડુંક વરસીને રહી જવું.

વિશેષ : કવિ શ્રી ઉમાશંકર જોશીનાં જન્મશતાબ્દીપર્વ (૨૧ જુલાઇ, ૨૦૧૦) નાં ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે ૮ વાગ્યે તેમનાં નિવાસસ્થાનેથી સાહિત્ય પરિષદ સુધી યાત્રા કર્યા બાદ ૯:૩૦ થી ૧૨ વાગ્યા સુધી પરિસંવાદ યોજવામાં આવેલ છે. ત્યાર બાદ, સાંજે ૬:૦૦ થી ૮:૩૦ તેમણે રચેલ કાવ્યગાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. સ્થળ : ગુજરાત સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ

.

ગુજરાતી : ઉમાશંકર જોશી

Sunday, February 21st, 2010

 

મળી સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી;

કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીરા.

પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનાલાલે કલ્પના ભવ્ય તેજે;

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

- ઉમાશંકર જોશી

 

સવાયા ગુજરાતી ફાધર વાલેસ કહે છે, ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો.”   અને જ્યારે તેઓ અંગ્રેજીનાં મૂળ રહેલાં છે તેવી ગ્રીક અને લેટિન ભાષાનાં પણ અભ્યાસુ છે ત્યારે તેમનું આ વિધાન ખૂબ જ ગૌરવપ્રદ છે. તેઓએ વ્યાકરણની સરળતાની નહિં, પણ આપણી ગુજરાતીપણાંની સરળતાની વાત કરી છે.   ( તેમણે તેમનાં અંતિમ ગુજરાતી પુસ્તક શબ્દલોકમાં તે વાતનો ઉલ્લેખ કર્યો છે. )

આજે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે, આપણી સરળ અને સહજ માતૃભાષા અને તેને સમૃદ્ધ કરનાર સૌ સાહિત્યકારોને શતશત વંદન સહ.   કોઈ પણ ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે અને સાંપ્રત કાળમાં જ્યારે  ભાષાવાદનો વિવાદ તેનાં મૂળ પ્રસારી રહ્યો છે ત્યારે, વિશ્વની દરેક ભાષાને ગુજરાતી જેટલી જ સન્માનીય ગણી આજનાં દિને આદર વ્યકત કરું છું.    ગુણવંતભાઈ કહે છે એમ, માતાનાં ધાવણ પછીનાં ક્રમે માતૃભાષા આવે છે.  અને કોઈની પણ ‘મા’ -  માતૃહ્રદય જ ધરાવતી હોય.  આપણી  ‘ગુજરાતી’ ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે, જો અન્ય ભાષાની ગરિમા જાળવીશું તો આપણી ગરિમા તો જળવાશે જ.  બ…સ જરુર છે, માતૃભાષા પ્રત્યે પ્રેમની.

 

 

.

ગીત ગગનનાં ગાશું : ઉમાશંકર જોશી

Saturday, December 19th, 2009

 

અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ કૂજન સુણી, પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે.

સૂર્ય-ચંદ્ર ને દ્યો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.

પંખી માત્રને મુનિવ્રત આપો,ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નર્તનતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.

બાળક હાલરડા માંગે ને, યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે, આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.

- ઉમાશંકર જોશી

 

આજે ઉમાશંકર જોશીની પુણ્યતિથિ નિમિત્તે ગુજનેટવર્ક દ્વારા મુંબઈમાં તેમને શબ્દાંજલિ આપતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આમંત્રણપત્રિકામાં મળી શકશે.  ( ઑડિયો )

 

 

.

શબ્દ : ઉમાશંકર જોશી

Thursday, September 24th, 2009

 

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

- ઉમાશંકર જોશી

 

” શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે. “
     – ધૂની માંડલિયા

મિત્રો, બે દિવસ પહેલાં જ આપણે આ ગઝલ માણી.  વિવેકભાઈએ પ્રતિભાવમાં એક મજાની વાત કરી કે, જો એક શબ્દ પણ સાચા અર્થમાં સમજણો થાય તો ગંગા નાહ્યા. !!  અને વળી, વિચારોનાં વનમાં મન અટવાયું, કે શબ્દ સાચા અર્થમાં સમજણો ક્યારે કહેવાય ?  વિચારોના એ વનમાં અટવાતાં આખરે એની એ જ – એક કેડી મળી આવી અને તે -

શબ્દથી ધ્વનિને પામો,
ધ્વનિમાં અર્થ વિસ્તરો;
અર્થમાં પ્રગટો જ્યોતિ,
જ્યોતિ આનંદમાં ઠરો. – મકરંદ દવે

સંજોગ અને પરિસ્થિતિ મુજબ તો વળી અંગત ક્ષમતા મુજબ વ્યક્તિ શબ્દને સમજતો હોય છે ( કે સમજવા પ્રયત્ન કરતો હોય છે ) ?!  અને આપણે પ્રતિક્રિયા પણ તે જ સાચું એમ માનીને જ આપીએ !! પણ ખરેખર તો, શબ્દ ત્યારે જ સમજણો કહી શકીએ કે નકારાત્મક પરિસ્થિતિમાં પણ હકારાત્મક વલણ રાખી તેવું કર્મ કરીએ, આચરણ કરીએ. અને મને યાદ આવી ઉમાશંકરની આ પંક્તિઓ…. !!

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ. 

લયસ્તરો પર આ કાવ્ય મૂકાયેલું ત્યારે જે સમજાયેલું તે જ ફરીથી પ્રતિભાવમાં મૂકું છું !!

ખરે જ, શબ્દ તો મૌન બરાબર જ છે, જ્યાં સુધી શબ્દનો ધ્વનિ શબ્દશઃ અર્થમાં ના વિસ્તરે, અને અર્થ પ્રકાશપુંજ બની જાય છે, જ્યારે એ પથદર્શક, અવિચલ માર્ગદર્શક બની સમગ્ર અસ્તિત્વને સત્યના માર્ગ પર લઈ જઈ આચરણમાં મૂકાય છે…..!!

શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક ! ધવલભાઈનું કાવ્યની અંતિમ પંક્તિ માટે યોગ્ય જ વિવેચન છે………!! પણ મને લાગે છે કે, આખું કાવ્ય તો ‘શબ્દ’ કરતાં ‘શબ્દાર્થ’ને વધુ મહત્વ આપે છે.  સાંઈકવિશ્રી મકરંદ દવે પણ આ મુક્તકમાં શબ્દાર્થની મહત્તા વર્ણવે છે,  આથી મને તે યાદ આવ્યું …. આભાર પંચમભાઈ……..!!

“શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.”

શબ્દ તો ભેદી શકાય નહિ એમ બેઠો છે અને અર્થનો ઝાંખો પ્રકાશ એની આરપાર જઈ શકતો નથી. અદ્.ભૂતતા… આ જ ! નહિ તો પ્રકાશ તો કશાની પણ આરપાર જઈ જ શકે ! પણ એ જ કમજોરી ને કવિ કહે છે કે, એ આભા-વલય બહુઅર્થના શબ્દને ફરતા જે છે તેનાથી જ તો
વધુ રસાસ્વાદ કરવાની તક મળે છે. – ‘Juxtaposition’

“શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.” – શબ્દોના અર્થ પામીને પણ શું ?!  કારણ શબ્દના મૂળમાં-ગર્ભમાં તો કર્મ એટલે કે આચરણ છે. જો સમજીને પણ આચરણ ના કરીએ તો શું અર્થ આ બોલાયેલા શબ્દોનો….!!

અંતિમ પંક્તિમાં વળી, ‘શબ્દ ચિરંતન જ્યોતિસ્તંભ’ કહે છે જે શબ્દને મહત્વ આપે પણ કાવ્યપૂર્તિ અથવા એમની વિચારપૂર્તિ હોઈ શકે,
જે એમના મનનું સમાધાન મળે છે તે જ દર્શાવે છે…. નહિ તો હું પણ એવું માનું કે, જે તમારું મૌન ના સમજી શકે એ તમારા શબ્દો શું સમજી શકવાના, પણ જે શબ્દો જ ના સમજી શક્યા એ મૌન તો કોઇ કાળે ના જ સમજી શકે……!!

એટલે કે ,  શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે ?!!!  :)  

 

 

.

દૂધમાં સાકર : ઉમાશંકર જોશી

Wednesday, August 19th, 2009

 

pateti

( નવરોઝ મુબારક )

સૌ પારસી પૂજક અગ્નિના જે,
ઈરાન છોડે, નિજ ધર્મ કાજે;

સમુદ્ર ખેડી, ગુજરાત આંગણે,
સંજાણ આવી, નિજ ભૂમિ આ ગણે.

સંજાણનો જેહ સુજાણ રાણો,
તેની કને દૂત વદંત શાણો;

છીએ વિદેશી, વસવાટ આપો,
ધર્મી જનોનું, નૃપ દુઃખ કાપો !

રાણો વિચારે તસુ ભોંય છે ના,
વસી નવી કો વસતી શકે ના.

કહ્યું દઈ દૂધ-ભરેલ પ્યાલો,
કહેજે ગુરુને અમ ભેટ આ લો !

દૂતે જઈ પાત્ર દીધું છલોછલ,
જોઈ વિમાસે ગુરુ શાંત નિશ્ચલ.

ઘડી પછી સાકર થોડી લીધી,
ભરી ભરી મૂઠી, ઉમેરી દીધી.

ને પાત્ર એ દૂધનું દૂત સાથે,
પ્હોંચાડ્યું પાછું તહીં ભૂપ-હાથે.

જોયું નૃપે બિંદુ તૃણેથી ચાખી :
રે દૂધમાં સાકર છે શું નાંખી ?

જા દૂત, તારા ગુરુને કહેજે,
થશે તમારો વસવાટ સ્હેજે.

છે દૂધમાં સાકર આ સમાઈ,
એવા જ રહેજો બની ભાઈ ભાઈ.

છો ગોર, છો ધીર, ગંભીર, વીર,
મા-ભૂમિનું નીવડશો જ હીર.

વર્ષો હજારેક પછી વહી ગયાં,
છે પારસી ગુર્જરી-હીર થૈ રહ્યાં.

- ઉમાશંકર જોશી

 

પર્શિયનવાસીઓ તેમનો ધર્મ સંકટમાં આવતાં, ગુજરાતનાં સંજાણ બંદરે આવી, રાણા પાસે ભારતમાં રહેવાની પરવાનગી માંગે છે.  આગળ શું થયું આપણે સૌ જાણીએ જ છીએ … પણ તે જ વાતને માણીએ ઉમાશંકર જોશીની કલમે.  આપ સૌ મિત્રોને નવરોઝ મુબારક.

 

શબ્દાર્થ : નવરોઝ  (પર્શિયન) –  નવો દિવસ

 

.

સપનોંકા એક શહર થા

Monday, September 15th, 2008

 

સપનોંકા એક શહર થા
ઝોંપડપટ્ટી મેં રહનેવાલોંકા

સડક સે ઉઠાયા ગયા
સુલગતા સિગરેટ કા એક ઠૂંઠ
ચમકને લગા ઉસકી એકાધ ફૂંકસે
વહ રુપહલા શહર
ચૂસકર ફિર ફેંકે ગયે ઠૂંઠ કે સાથ
સુલગને લગા વહ
બસતે હૈં મહલવાસી
તબ સે સ્વપ્નોંકી ઝોંપડપટ્ટી મેં

સ્વપ્નોં કા એક શહર
ફિર સે બસેગા
ઝોંપડપટ્ટી કી ખાક સે…

( દિલ્હી, ૧૨.૧૧.૧૯૭૯)

- ઉમાશંકર જોશી
અનુવાદક : ડૉ.આલોક ગુપ્તા

 

આપણી રાષ્ટ્રભાષા “હિન્દી”…. અને ૧૪ સપ્ટેમ્બર હિન્દીદિન તરીકે મનાવવામાં આવે છે. “વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની.” ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિ “વસુધૈવકુટુમ્બકમ્”ની અર્થચ્છાયા નીપજાવે.પરંતુ આ વિશ્વમાનવીને માત્ર વિશ્વશાંતિના દ્રષ્ટિકોણથી વિશ્વમાનવી બનવું છે .ના… તેઓ માનતા કે, હું ગુજરાતીમાં લખનાર  “ભારતીય સાહિત્યકાર” છું ને સાહિત્યની શૈલી તેનું લખાણ વૈશ્વિક સ્તરનું હોવું જરૂરી છે.

સડક પરથી ઉઠાવેલ સિગારેટના ઠૂંઠાનો એક કસ મારતાં જ સ્વપ્નોની એ નગરી સ્વપ્નવત્ વસતી જાય છે. હજુ તો ‘ઠૂંઠા’નો નશો ચડે ત્યાં જ તે આપણી આંગળીએ ચંપાઈ જાય છે.

સ્વપ્નોં કા એક શહર
ફિર સે બસેગા
ઝોંપડપટ્ટી કી ખાક સે…

પ્રસ્તુત આ રચના ‘૭૯માં રચિત છે પરંતુ આજની ઝૂંપડપટ્ટીના સ્વપ્ન આજે ત્રીસ દાયકા આવ્યાં છતાં જરાપણ બદલાયા નથી કે પછી ‘માત્ર’ ત્રીસ વર્ષ પુરાણો ઝૂંપડપટ્ટીનો આ ઈતિહાસ આજે પણ જરા પણ અપ્રસ્તુત નથી…?!! આ જ છે વૈશ્વિક કલમ જે ખરા અર્થમાં તેમને વિશ્વમાનવી તરીકે પ્રસ્તુત કરે છે.

 

 

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME