સભર સુરાહી : રાજેન્દ્ર શુક્લ
Friday, August 15th, 2008
સાહિત્યરસિકો,
વેબમહેફિલમાં આપનું સ્વાગત !! મહેફિલનો પ્રારંભ તો ગઝલથી જ થાય… ‘ઘાયલ’ તો કહે છે, ‘ દિલને લાગે જે લાજમી તે ગઝલ ‘ તો મૂર્ધન્ય કવિશ્રી રાજેન્દ્ર શુક્લ પોતાની આગવી શૈલીમાં ‘ગઝલ’ વિશે એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. રાજેન્દ્ર શુક્લ એ એવું નામ છે કે જેણે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મેળવી ‘ગુજરાતી ગઝલ’ને એક અનેરું સ્થાન અપાવ્યું. તેમના પોતાનાં જ હસ્તાક્ષરમાં માણીએ ‘ગઝલ’ વિષેની ગઝલ.
સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.
લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.
ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.
સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.
કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.
- રાજેન્દ્ર શુક્લ
આ ગઝલને ક્ષેમુ દિવેટીયાએ સ્વરબદ્ધ પણ કરી છે
અને શ્યામલ-સૌમિલ મુન્શીએ સ્વર આપ્યો છે. સાંભળો :

