જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યપ્રકાર, ભજન, સાહિત્યકાર, મીરાંબાઈ | Comments (3)
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. – મારો0
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. – મારો0
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. – મારો0
- મીરાંબાઈ
મીરાંબાઇ આમ તો, રાજસ્થાનનાં … તો ગુજરાતીમાં કેવી રીતે તેમનાં આટલાં બધાં ભજનો ? આ પ્રશ્ન કાયમ મને સતાવતો. પણ, ઘણું કરીને, પ્રાચીન ભજનોને અર્વાચીન બોલીમાં જ આપણે અપનાવી લીધાં છે તેમ, મીરાંબાઇનાં રાજસ્થાની કે હિન્દી ભજનો પણ ગુજરાતીમાં ફેરવાઇ ગયાં હશે ?!! હાલમાં જ ક્યાંક વાંચવામાં આવેલું કે, કૃષ્ણની જે મૂર્તિ લઇને મીરાંબાઈ, મેવાડ ગયેલાં, તે મૂર્તિની સ્થાપના દહેગામ પાસે આવેલ કોઇ ગામમાં કરેલી છે.
મીરાંબાઈ, દેવળ ને કાયા અને હંસ ને આત્માની ઉપમા આપી, સ્થૂળ દેહ નહિં, નિરાકાર આત્મસ્વરુપ જ સત્ય છે, તે બ્રહ્મસત્યને કેટલી સહજતાપૂર્વક વર્ણવે છે !
.
Pinki @ August 18, 2010
ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યપ્રકાર, ભજન, સાહિત્યકાર, મીરાંબાઈ | Comments (0)
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.
રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દ્યો તમે, વસોને અમારે સાથ.
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.
વિષનો પ્યાલો રાણાએ મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.
- મીરાંબાઈ
રાણી મીરાંબાઇ મહેલ છોડી, મેવાડનાં રાણાને છોડી, સાધુ-સંતોની જોડે વસવાટ કરે છે. કૃષ્ણ દિવાની, પ્રેમ દિવાની મીરાં હરિરસનો પ્યાલો પીવાનું ભૂલી શકતી નથી. રાણા તેમને પત્ર મોકલી, મહેલમાં પુનરાગમન માટે વિનંતી કરે છે પણ, મીરાં તો તેમને પણ રાજપાટ છોડી, સાધુ-સંતો જોડે વસવાટ કરવાનું કહે છે. ત્યારે રાણો ક્રોધિત થઇ, વિષનો પ્યાલો મોકલે છે, પણ હરિરસનો પ્યાલો જેણે પીધો હોય તેને વિષની અસર કેમ થાય ?!!
.
Pinki @ August 18, 2010
હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા
Posted in: સાહિત્યપ્રકાર, કૃષ્ણ, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, નરસિંહ મહેતા, સાહિત્યપ્રકાર, ભજન | Comments (4)
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
- નરસિંહ મહેતા
આશરે પંદરમી સદીથી ગુજરાતી ભાષા પોતાનો અજવાશ ફેલાવી રહી છે. ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસ પર એક નજર નાંખીએ તો, જૈનાચાર્યો અને સંતોએ, તેને ભક્તિપદોમાં જાળવી છે, મૂલવી છે. વૅબમહેફિલની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે આ સપ્તાહમાં આવાં સાહિત્યકારો અને તેમની કૃતિઓને યાદ કરીશું. નરસિંહ મહેતા એક એવું નામ છે જે દરેક ગુજરાતીનાં હૈયે અને હોઠે વસેલું જ હોય… ! આશરે પંદરમી સદીમાં થયેલ આ ભક્તકવિનાં બે દિવ્ય, ગોપીભાવનાં ભક્તિ પદો માણીશું.
હળવે હળવે હરિ, મનમંદિરમાં પધારી, એવું કામણ કરે છે કે, ઘરનું બધું કામકાજ ભૂલી પ્રભુમય બની જાય છે.અને તેનો સંગ લાગતાં જ , ભવભવની ભાવટ ભાગે છે. શબ્દોનું પુનરાવર્તન આ પદને અદ્ભૂત લય બક્ષે છે.
.
.
Pinki @ August 17, 2010
ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
Posted in: સાહિત્યપ્રકાર, કૃષ્ણ, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, નરસિંહ મહેતા, સાહિત્યપ્રકાર, ભજન | Comments (2)
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. – ભોળીo
અનાથના નાથને વેચે આહિરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. – ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. -ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. – ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરયામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. – ભોળીo
- નરસિંહ મહેતા
સોળ સહસ્ત્ર ગોપીઓનો વ્હાલો, અનાથનો નાથ અને ચૌદ લોકનો સ્વામીને ભોળી ભરવાડણ મટુકીમાં ઘાલી, વેચવા ચાલી નીકળી છે. કૃષ્ણમય ગોપી, મહી લ્યો ને બદલે લ્યો કોઇ મોરારિ બોલી ઊઠે છે અને એ અલૌકિક સંવેદનની અનુભૂતિએ નરસૈંયો સર્જે છે એક અદ્ભૂત ગીત ! વળી, ભોળી ભરવાડણનાં ભાગ્ય પણ કેવાં કે, મટુકીમાં મહીને બદલે, મોરલી વગાડતાં કૃષ્ણને નિહાળી પણ શકે છે ?!!
શબ્દાર્થ : સહસ્ત્ર – હજાર. કૌતક (કૌતુક) – અજાયબી, ચમત્કાર. પેખવું – જોવું.
.
.
Pinki @ August 17, 2010
સ્વતંત્રતાની મીઠાશ : ઝવેરચંદ મેઘાણી
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, ઝવેરચંદ મેઘાણી, સાહિત્યપ્રકાર, ભારત | Comments (12)

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !
પૂછી જોજો કોઈ ગુલામને -
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ – શી ઓહો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ છાતીમાં છોળો છલકાઈ પડી !
એને ભાન મુક્તિ તણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું
એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી
એની ઊર્મિ રાંક મટી રુડા જગબાગમાં રમવા ચડી !
પડું કેદખાનાને ઓરડે
લટકુંયે ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગડે
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
કાળી રાત ચોગમ ઘૂઘવે
લાખો શાપ બંધુજનો લવે
વા’લાં વેરી થૈ રોવે-મૂંઝવે
છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી
મારા દેશનાં સહુ શોષિતો
દુનિયાનાં પીડિતો-તાપિતો
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો
એનાં ભૂખ્યાં પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી
- ઝવેરચંદ મેઘાણી
( ૧૯૩૦ )
સ્વતંત્રતા એટલે કે, મુક્તિનો આનંદ અનેરો જ હોય…. ! બસો વર્ષની ગુલામી પછી, અનેક શહીદોનાં બલિદાન બાદ, મળેલી આ અણમૂલ આઝાદીનાં ૬૪મા વર્ષે, આપણે તો માત્ર આઝાદીને જાળવવાની છે , મૂલવવાની છે. ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદ મેઘાણી રચિત આ ગીતમાં ‘સ્વતંત્રતા’ કેટલી મોંઘેરી અને મીઠડી હતી તેનો અંદાજ લગાવી શકાય છે. સી.એન.વિદ્યાવિહારના પ્રાર્થના મંદિરમાં મોટે અવાજે આ ગીત ગાતાં, ત્યારે તેની મીઠાશ ન’તી સમજાઇ પણ આજે… આઝાદીનાં મોંઘા મૂલ સમજાય છે. આજનાં આ પવિત્ર દિને ભારત દેશની સંસ્કૃતિ અને કલાનાં અણમોલ, વૈભવી વારસાને જાળવીએ અને મૂલવીએ તે જ આપણો નિશ્ચય હોઇ શકે. દેશનાં પ્રવર્તિત દૂષણો અને સમસ્યાઓનો સૌ સાથે મળીને ઉકેલ લાવીએ જેથી આઝાદીનાં શતાબ્દી પર્વે આવનારી પેઢી આ સમસ્યાનો સામનો કરવો ન પડે. આપ સૌને સ્વતંત્રતા મુબારક !

આજે આઝાદીનાં શુભ પર્વની સાથે વૅબમહેફિલનાં આંગણે, તેની દ્વિતીય વર્ષગાંઠનો અણમોલ અવસર પણ છે. વૅબમહેફિલ પર મૂકેલી વિધ વિધ રચનાઓ માણતાં વાચકો કે ભાવકો પોતાની રચનાઓ ઇ-મૅલમાં મોકલી તેને વૅબમહેફિલ પર મૂકવા ફરમાઇશ કરતાં હતાં. આથી મને વિચાર આવ્યો કે, વાચકોનો પોતાનો એક અલગ વિભાગ રાખીએ તો કેવું ? નામી અને પ્રતિષ્ઠિત સાહિત્યકારો સાથે, વિચાર – વિમર્શ બાદ, મારી આગ્રહભરી વિનંતી બાદ અમે નિર્ણય કરી આજથી ‘વાચકોની કલમે’ એક વિભાગ શરુ કર્યો છે. ગુજરાતની ‘સુવર્ણ જયંતિ’ નિમિત્તે ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એવું જ કંઇક ‘લખો ગુજરાતી’ ! એટલે કે, આજથી વૅબમહેફિલમાં પણ લોકશાહીનું રાજ…. લોકો દ્વારા, લોકો માટે, લોકોની મહેફિલ
આ વિભાગ શરુ કરવા પાછળ મારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે, આ બહાને, વાચકો ગુજરાતી ભાષા અને સાહિત્યને વધુ વાંચશે અને સમજશે. વાચકોને નમ્ર વિનંતી કે તેઓએ પહેલાં પણ પોતાની રચના મોકલી હોય તો પણ, ફરીથી પોતાની રચના ગુજરાતીમાં ટાઇપ કરી, મોકલી આપશો. આપની રચના માટે જે પણ કોઇ પ્રતિભાવ આવે તેને ખેલદિલીપૂર્વક વધાવી, પોતાની ભૂલ સુધારવા પ્રયત્ન કરશો. અને જો યોગ્ય ગણાશે, તો આવતી કાલે, સાહિત્યકારની ‘category’ માં આપની રચના જરૂરથી મૂકવામાં આવશે જ.
આપ સૌ વાચકો, સાહિત્યકારો અને મંથન તેમજ નીરજનો ટેકનિકલ સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર.
તા.ક. વૅબસાઇટમાં જરુરી ફેરફાર કરતાં હોવાથી, હજુ ૨-૩ દિવસ કદાચ આપને મુશ્કેલી પડે તો ક્ષમા કરશો.
.
Pinki @ August 15, 2010
મ્હેંકમાં ફેલાય જાય તું : અંકિત ત્રિવેદી
Posted in: સાહિત્યકાર, અંકિત ત્રિવેદી, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, પ્રેમ | Comments (6)
( વ્હેતી હવા … અને દેખાઇ જાય તું )
સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !
તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !
એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !
મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભૂલાઇ જાય તું !
કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !
- અંકિત ત્રિવેદી
પ્રેમ એટલે જ તાજગી… અને એમાં પણ ‘તાજો’ જ પ્રેમ થયો હોય તો – અંકિત ત્રિવેદી આ ગઝલમાં કહે છે એમ, વહેતી હવામાં પણ પ્રિયજન દેખાય , કોઇ બીજાને ફોન કરતાં હોઇએ તો ‘એનો’ જ નંબર જોડાઇ જાય ! ’તાજા’ પ્રેમ જેવી ,તો વળી, અંકિત જેવી જ તાજગી સભર એક ગઝલ .
.
Pinki @ August 13, 2010

