તારા વગર : ગૌરાંગ ઠાકર
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ગૌરાંગ ઠાકર | Comments (12)
સાંજ ડૂબી એકલી તારા વગર,
એટલે છે આંખ મારી તરબતર.
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં,
થાય અટકાવી દઉં એની સફર.
જો પ્રતીક્ષા બારણે ટોળે વળી,
આવશે તું એમ આવી છે ખબર.
ફૂલને ઝાકળ કહે છે વાત જે,
હું તેને કહેતો રહું બસ રાતભર.
જિંદગીને વેચવા દુનિયા ફર્યો,
ચોતરફ બસ લાગણીની કરકસર.
લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે ?
એકલો માણસ અને ભરચક નગર.
- ગૌરાંગ ઠાકર
સિમેન્ટ-કોંક્રીટથી ભરચક નગરમાં સવારથી રાહ જોતાં ‘માણસ’ની સાંજ પણ એકલી જ ડૂબે ત્યારે ચોક્કસ શ્વાસની સફર અટકાવી દેવાનું મન જ થાય. ‘એકલો’ માણસ ઉદાસીનો માર્યો, જિંદગીને વેચવા ચાલ્યો પણ, લાગણીની અછત કેવી કે, એને ખરીદનાર કોઇ નહિં ??!
.
Pinki @ August 11, 2010
હસ્તપ્રત : મનોજ ખંડેરિયા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મનોજ ખંડેરિયા | Comments (8)
કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.
ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.
નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.
ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.
નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
- મનોજ ખંડેરિયા
એક માત્ર ગઝલની જ જેને મમત હતી તેવાં કવિની કલમે એક સર્વાંગ સુંદર ગઝલ… !
.
Pinki @ August 9, 2010
કલમ ઉપાડી છે : સુનીલ શાહ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, સુનિલ શાહ | Comments (7)

આંખ ઊંડી ને ખાલી પેટ લઈ ગુજારી છે,
મેંય પથ્થરો માફક જિંદગી ઉપાડી છે.
રાત જ્યાં વીતે છે એ ફૂટપાથ સાક્ષી છે,
આભ ને ધરા વચ્ચે કેટલી ઉદાસી છે !
રોજ પથ્થરોમાં મેં શોધ આદરી તારી,
શી ખબર કે તેં ઈશ્વર, જાત ક્યાં છુપાવી છે !
હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.
શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.
- સુનીલ શાહ
આપણાં સૌની દોરી ઈશ્વરનાં હાથમાં જ રહેલી છે અને ભાગ્ય જાણવા, ઉછાળેલાં સિક્કાની બન્ને બાજુ પણ… તેના જ હાથમાં. સુખ કે દુઃખ જે પણ આવે/આપે, ઈશ્વર પર શ્રદ્ધા રાખી જીવીએ તો જિંદગી અઘરી નહીં લાગે !
.
Pinki @ August 6, 2010
દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, પંચમ શુક્લ | Comments (6)
કઠ ભલે, કર્મઠ બનો,
નેતિ નેતિ નઠ બનો.
મત મતાંતર મઠ બનો,
લીલ લહેરો, લઠ બનો.
વ્હેણ પોતે તઠ બનો,
સર્વ ગળતર ગઠ બનો.
સૌમ્ય, શાલીન સ્વત્વથી,
જાત સાથે શઠ બનો.
સિદ્ધિ, બુદ્ધિ અઠ ગ્રહો,
દર્પ ગાળી દઠ બનો.
- પંચમ શુક્લ
વેદજ્ઞાનને આ ગઝલગાનમાં અનોખી રીતે માણી શકાય છે. સંસારમાં કઠણાઇ (કઠ) તો રહેવાની જ છે, પણ કર્મનિષ્ઠ બની, આપણે આપણું કર્મ કરવું જોઇએ. જો આપણું મન વિચલિત થાય તો, થોડું શઠપણું દાખવી, જાતને છેતરી, સમજાવી ફોસલાવીને પણ, વિચલીત મનને સ્થિર કરવા પ્રયત્ન કરી શકાય. જો અભિમાન ઓગાળી, નિર્બુદ્ધિવાન બનીએ તો અષ્ટસિદ્ધિ પામતાં વાર નથી લાગતી. ( ગઝલનો રસાસ્વાદ કરાવવા માટે પંચમભાઈને નમ્ર વિનંતી અને વાચકોને પણ … )
વેદ, ઉપનિષદ કાળથી સાંપ્રત કાળ સુધી , જીવન જીવવાની ઉપરોક્ત કળાને , મુખ્યત્વે ધાર્મિક બનાવી તેનાં આધારે અલગ અલગ સ્વરુપમાં વર્ણવવામાં આવી છે. પણ ધર્મ એટલે શું ? હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ …. ?!! વેદકાલીન ધર્મની વ્યાખ્યા મુજબ, ‘धारयति इति धर्म : ‘ અર્થાત્, જે ધારણ કરીએ છે તે ધર્મ. અલગ અલગ ધર્મનાં તિલક-ચાંલ્લા, દોરા-ધાગા, વેશ-પરિધાન ધારણ કરીએ એટલે તે ધર્મ ધારણ કરી લીધો ?!!
ના….. ધારણ તો મનુષ્યત્વ કરી, જીવન જીવવાની કળા આત્મસાત્ કરવાની છે અને મનુષ્ય માત્રનો ‘ધર્મ’ એ જ હોઇ શકે.
શબ્દાર્થ : કઠ – કઠણાઇ, કર્મઠ – કર્મનિષ્ઠ, નઠ - નઠારું (નિર્લજ્જ ) , મઠ - આશ્રમ, લઠ - લાઠી, ડંડો, તઠ - તટ, કિનારો, ગઠ - ગાંઠ, શઠ - ધૂર્ત, લુચ્ચું, અઠ – આઠ, ગ્રહો – ગ્રહણ કરવું, દર્પ - અભિમાન, દઠ – બુદ્ધિહીન.
.
Pinki @ August 5, 2010
અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, હર્ષ બ્રહ્મભટ્ટ | Comments (6)
નીરખું જેના થકી અંદર સતત,
એક બારી ઊઘડે અંદર સતત.
આંખ મીંચીને સહજ જોયા કરું,
એક સૂરજ ઊઘડે અંદર સતત.
લ્યો, હવે અટકી ગયો વરસાદ ને,
સાત રંગો ઊઘડે અંદર સતત.
બ્હાર ફરતો ચાકડો કાયમ અને -
હાથ બે શું શું ઘડે અંદર સતત.
કોણ ઊભું છે કિનારે થઈ ખડક ?
કે સમંદર ઊમટે અંદર સતત.
કોઈ આવી બંધ ઝટ બાંધો હવે,
પૂર આ ઊંચે ચઢે અંદર સતત.
- હર્ષ બ્રહ્મભટ્ટ
સતત અંદર નીરખીએ તો જ ‘અંદર’ની બારી ઊઘડી શકે અને એ બારી થકી જ આંખ મીંચીને આપણી અંદર સતત ઊઘડતો સૂરજને નિહાળી શકાય. અને તે સૂરજનો ‘દિવ્ય’ પ્રકાશ આપણને અંદર અને બહારથી દેદિપ્યમાન કરી દે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટને આઇ.એન.ટી. સંસ્થા દ્વારા, વર્ષ ૨૦૧૦નો ‘શયદા’ એવોર્ડ આપવામાં આવે છે તે અવસરે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.
Pinki @ August 4, 2010
ઈશ્વરને નામે વાણી : ચિનુ મોદી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ચીનુ મોદી, સાહિત્યપ્રકાર, તસ્બી | Comments (7)
પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
- ચિનુ મોદી
‘આદિલ’ મન્સૂરીની યાદમાં , તેમનાં પરિવારજનો તરફથી ‘આદિલ’ મન્સૂરી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર આધુનિક ગઝલકાર ચિનુ મોદીને અર્પણ કરવામાં આવ્યો છે. ચિનુકાકાને વૅબમહેફિલ અને સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
.
Pinki @ August 3, 2010

