ગુજરાતની : મનહર ‘દિલદાર’
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યપ્રકાર, ગુજરાત, સાહિત્યકાર, મનહર 'દિલદાર' | Comments (4)
.
.
કોણ કે’ છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.
ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની,
કઇ કહું ? કઇ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.
આ, અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં,
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.
મશ્કરી મારી કરશો તો હું સાંખી લઈશ,
પણ નહિં સાંખી શકું નિર્ભત્સના ગુજરાતની.
છે ભલેને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.
રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’,
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.
આ હૃદયના ટાંકણા પર કોતરી ને રાખીશું,
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.
આ, વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો,
ક્યાંય નહિં જડશે તમોને જોડ આ ગુજરાતની.
એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના,
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.
ઝાઝું તો હું શું કહું એ સુરભૂમિથી પણ અધિક,
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.
એમની પાસેથી હું ‘દિલદાર’ માંગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.
- મનહર ‘દિલદાર’
.
.
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી નિમિત્તે , ગુજરાત સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં પ્રગતિકારક કાર્યો હાથ ધરવામાં આવ્યાં અને તેમાં મહ્દ અંશે સફળતા પ્રાપ્ત પણ થઈ છે. નરેન્દ્ર મોદી કહે છે તેમ, ગુજરાતનાં સ્વર્ણિમ યુગની શરુઆત થઈ ચૂકી છે. આપ સૌ ગુજરાતીઓને આપણું ગુજરાત વિકાસ અને પ્રગતિનાં પંથે વધુ ને વધુ પગલાં ભરે તેવી હાર્દિક શુભેચ્છાઓ. ગુજરાત અંગેની વધુ રચનાઓ માણવા ક્લિક કરો.
.
.
.
.
Pinki @ May 1, 2011
મથે છે : બી.કે.રાઠોડ ‘બાબુ’
Posted in: સાહિત્યપ્રકાર, અધ્યાત્મ, સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, બી.કે.રાઠોડ 'બાબુ' | Comments (3)
.
કૈક વર્ષોથી તને મળવા મથે છે.
ભીતરેથી કૈક નીકળવા મથે છે.
ખૂબ ઊંડે સત્ય બેઠું છે ઠરીને,
જોઈ ચહેરો કાં મને કળવા મથે છે.
હું જ ખંખેરી નથી શકતો વળગણો,
ભીડમાં મન ક્યારનું ભળવા મથે છે.
એ તરફ આડે પડી છે આફતો સૌ,
જે તરફ ઈચ્છા બધી વળવા મથે છે.
છો લગાડી આગ, ઘી પણ નાંખ થોડું ,
ના ટળવળે લોહી, જે બળવા મથે છે.
સૂર્યને જઈ સાચું સરનામું જણાવો,
બર્ફનો આ જીવ પીગળવા મથે છે.
- બી.કે.રાઠોડ ‘બાબુ’
.
,
રાધા, મીરા કે ગોપીમય બની આત્મા અને પરમાત્માનો વિરહ કવિઓ ગાતાં હોય છે. પણ બાબુભાઈ આ જ વાત કંઇક નવી જ શૈલીમાં કરે છે. સૂર્ય સમાન પરમાત્મા… અને બર્ફની જેમ થીજી ગયેલાં આપણે સૌ - સાચું સરનામું ખુદને ખબર હોય તો તેને આપી શકાય ને ?
.
.
.
.
Pinki @ April 26, 2011
યથેચ્છસિ તથા કુરુ : રાજેન્દ્ર શુક્લ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, રાજેન્દ્ર શુક્લ | Comments (2)
.
વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ,
ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.
ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ,
જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ.
નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ,
થશે બધું ય પાધરું, યથેચ્છસિ તથા કુરુ.
ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ,
ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ.
ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ તથા કુરુ,
થવાનું એ ય પાંસરું, યથેચ્છસિ તથા કુરુ.
સખત છતાં ય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ,
પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ.
સુદૂર છો અરુપરુ, યથેચ્છસિ તથા કુરુ,
સ્વયં થશે હરુભરુ, યથેચ્છસિ તથા કુરુ.
- રાજેન્દ્ર શુક્લ
.
.
યથેચ્છસિ તથા કુરુ અર્થાત્ જેમ ઇચ્છા હોય તેમ કરો. અધ્યાત્મિક ગુરુ તો હંમેશા આટલું જ કહે છે, યથેચ્છસિ તથા કુરુ. કારણકે તેઓ જાણે છે કે, ઈશ્વરેચ્છા બલિયસિ અને કર્તાહર્તા તો આખરે પરમાત્મા ખુદ જ છે. આથી શિષ્ય પણ તેટલું જ કરશે જેટલું ઈશ્વરની મરજી હશે. આપણી ભીતર રહેલ પરમાત્મા રુપી ચરુની ભાળ મેળવી , ચોક્કસપણે પાધરા થવાય અને પછી બધુંય પાંસરું ઊતરે જ અને સ્વર્ગીય સુખ હાથવેંતમાં જ.
.
શબ્દાર્થ : અરુ – વધારે , પરુ – સ્વર્ગ .
.
.
.
.
Pinki @ April 25, 2011
કોઈ પડછાયા વગર : હર્ષ બ્રહ્મભટ્ટ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, હર્ષ બ્રહ્મભટ્ટ | Comments (9)
.
કોઈ કરતાં કોઈથી પણ ક્યાંય અંજાયા વગર,
રાખવો વ્યવહાર દુનિયા સાથ ભરમાયા વગર.
કૈંક એવા પણ વસે છે આ નગરમાં માણસો,
હોય છે જેઓ પલળતા સાવ ભીંજાયા વગર.
તોય કાયમ જાય ચૂકી ટ્રેન, તક, અવસર સતત,
લોક છો દોડ્યા કરે છે ક્યાંય રોકાયા વગર.
પારખુ સઘળા ઝવેરી છે, ખરી છે વાત પણ,
એ જ હીરો છું ગયો સરકી જે પરખાયા વગર.
કઈ હદે દિલનાં દુઃખોએ દૂર માણસથી કર્યો,
આ ઊભો પૃથ્વી ઉપર હું કોઈ પડછાયા વગર.
- હર્ષ બ્રહ્મભટ્ટ
.
.
આખીયે ગઝલ બીજું કશુંય નહિં પણ ‘જીવવાનો’ રિયાઝ કેમ કરવો અને કર્યા પછી શું પમાય છે તેનો ટૂંકસાર છે. જોકે, આ જીવનસારને ટૂંકસારમાં પામવો જ ઘણો કપરો હોય છે, ખરું ને ? ‘ગઝલસભા’ વડોદરા દ્વારા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટનાં ગઝલસંગ્રહ ‘જીવવાનો રિયાઝ’ ને વર્ષ ૨૦૧૦નાં શ્રેષ્ઠ ગઝલસંગ્રહ તરીકે પુરસ્કૃત કરવામાં આવે છે. કવિશ્રી અને ગઝલસભાને ખૂબ ખૂબ અભિનંદન.
.
.
.
.-
Pinki @ April 22, 2011
એની માપણી નથી : મકરંદ મુસળે
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, મકરંદ મુસળે | Comments (8)
.
અળગી નથી કરી તને મેં અવગણી નથી,
તું પ્રેમને ન માપ એની માપણી નથી.
મળવાનું મન કરે કદી ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી કરી નથી.
આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી
મેં લાગણીની કોઇ દી’ માત્રા ગણી નથી
હું આયનામાં જાત જોઇ ખળભળી ઊઠ્યો,
સારું છે એમની નજર મારા ભણી નથી.
દેખાઉં છું, તે છું નહીં, ને એટલે જ તો,
મારી છબીને મેં કદી મારી ગણી નથી.
એથી જ પ્રેમ પામવાની આશ છે હજી
તેં હા કહી નથી મને, ના પણ ભણી નથી.
- મકરંદ મુસળે
,
,
લાગણી કે પ્રેમને માપી શકાય એવું યંત્ર હજુ સુધી તો શોધાયું નથી. આથી જ પૂર્વગ્રહો કે નફરતની ભીંતો ઠેકીને દિલનાં દરવાજે દસ્તક આપશો તો જ, પ્રેમ પામી શકાશે.
.
.
.
.
Pinki @ April 19, 2011
સાચવીને રાખ્યો તેં ! : ભરત વિંઝુડા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ભરત વિંઝુડા | Comments (2)
.
( આ જગતનો કોઈ જવાબ નથી ?!! )
.
મેં ન પીધો તો ઢોળી નાખ્યો તેં,
જામ જે સાચવીને રાખ્યો તેં !
આ જગતનો કોઈ જવાબ નથી,
એમ ઉત્તર છતાંય આપ્યો તેં !
બીજા હાથે લખું છું ગઝલો હું,
જ્યારથી એક હાથ ઝાલ્યો તેં !
આ નગરમાં ય હું અજાણ્યો છું,
જે રીતે સહેજ પણ ન જાણ્યો તેં !
ચારેબાજુ ફરી વળ્યાં પાણી,
જ્યાં હતો ત્યાં મને ડૂબાડ્યો તેં !
- ભરત વિંઝુડા
.
.
જ્યારથી એક હાથ ઝાલ્યો તેં, બીજા હાથે લખું છું ગઝલો હું. અને એટલે જ તો - આ ગઝલનો કોઈ જવાબ નથી !
.
.
.
.
Pinki @ April 18, 2011


