તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર ( અનુ : મહાદેવ દેસાઈ )
Posted in: સાહિત્યપ્રકાર, અનુવાદ, સાહિત્યપ્રકાર, ઑડિયો, સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, મહાદેવભાઈ દેસાઈ, સાહિત્યકાર, રવિન્દ્રનાથ ટાગોર | Comments (8)

( તારી જો હાક સુણી – કિશોરકુમાર – બંગાળી )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( તારી જો હાક સુણી – ભાઈલાલભાઈ – ગુજરાતી )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“>
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો .
જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …
- રવિન્દ્રનાથ ટાગોર
( અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )
Tagore’s English translation
If they answer not to thy call walk alone,
If they are afraid and cower mutely facing the wall,
O thou of evil luck,
open thy mind and speak out alone.
If they turn away, and desert you when crossing the wilderness,
O thou of evil luck,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.
If they do not hold up the light when the night is troubled with storm,
O thou of evil luck,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.
૭ મે, ૧૮૬૧નાં રોજ ભારતને પ્રથમ નૉબલ પ્રાઈઝ અપાવનાર વિરલ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયેલો. વળી, સાહિત્યમાં તેમને આ પારિતોષિક મળેલો, અને અન્ય ભાષાની જેમ ગુજરાતી સાહિત્યમાં પણ ગાંધીવિચારધારાની જેમ તેમનો પણ પ્રભાવ રહેલો. રવિન્દ્રસંગીત જેવું જ …. !! આમ તો આ ગીત ગાંધીજી માટે એમણે લખેલું, પણ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંજોગોમાં તે એટલું જ પ્રસ્તુત છે. મારા માટે તો ગાંધીજી, આઈન્સ્ટાઇન કે ટાગોર એક spiritual personality ન હોવા છતાં કોઈ ગુરુથી કમ નથી. કારણ એમણે ઉપદેશ નથી આપ્યાં પણ તેવું જીવ્યાં છે. મને તો રસોગુલ્લા આજે અનાયાસે જ મળી ગયાં તેમનાં જન્મદિનની પાર્ટીનાં …… તો તમારા માટે પણ રસોગુલ્લા જેવું જ મિષ્ટી ગીત….. !! અને તેમનાં શબ્દોનાં રંગો જોવા આ પેઈન્ટિંગ જરુર જોશો. બન્ને ગીતો માટે મેહુલનો ખૂબ ખૂબ આભાર….. !!
.
Pinki @ May 7, 2009
ગઝલ : દિનેશ કાનાણી
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, દિનેશ કાનાણી | Comments (7)
બોલવામાં ચાલવામાં ફેર છે,
એટલે તો આટલું અંધેર છે.
માત્ર બસ થોડાઘણા મતભેદ છે,
લોક કહે કે એની વચ્ચે વેર છે.
ટહુકો છે કે ચીસ, એ નક્કી કરો,
સાવ આ તાજો જ મારો શેર છે.
એક બે જો હોય, તો કહી પણ દઉં,
દુર્દશાનાં કારણો સિત્તેર છે.
હું અહીં તો આપનો મહેમાન છું,
મારો અસલી ચહેરો મારે ઘેર છે.
એક વ્યક્તિ કાંકરીચાળો કરે
ત્યાં જ ડામાડોળ આખું શ્હેર છે !
- દિનેશ કાનાણી
સાચે જ, કલિયુગ આવી ગયો, માણસ ‘ માણસ ‘ રહ્યો જ નથી …!! આવી ચીસો રોજ આપણા કાને પડે છે, પણ માણસ એટલે કોણ હું ને તમે જ ને …… અને ત્યારે ‘માણસ’ નો આ ટહુકો કોઇનાં કાને પડશે ?!! ” બોલવામાં ચાલવામાં ફેર છે, એટલે તો આટલું અંધેર છે. ” માણસની દુર્દશાનાં સિત્તેર કારણોમાંથી થોડાંક દિનેશભાઈની કલમે …….!!
Pinki @ May 6, 2009
ક્યાં સુધી : કીર્તિકાન્ત પુરોહિત
Posted in: સાહિત્યકાર, કીર્તિકાન્ત પુરોહિત, સાહિત્યપ્રકાર, ગઝલ | Comments (6)
દેખવું ને દાઝવું તે ક્યાં સુધી,
દૃશ્ય ધૂમર માંજવું તે ક્યાં સુધી.
આયના તો સાવ ચોખલિયા મળે,
નગ્ન રૂપ શણગારવું તે ક્યાં સુધી.
ડાળ પર ખુદ ડગમગે છે જ્યાં સમજ,
લક્ષ્ય એનું સાધવું તે ક્યાં સુધી.
જ્યાં નજર નાખું કશી હલચલ નથી,
ઉંબરા પર થાકવું તે ક્યાં સુધી.
બુદ્ધિવશ દિલ થઈ ગયું છે તે પછી,
આડુઅવળું ભાગવું તે ક્યાં સુધી.
હું જ મારો દોસ્ત જ્યારે ના થયો,
કોઈનું મન તાગવું તે ક્યાં સુધી.
જૂઠના બાઝારથી લાવી ખરલ,
સતનું ફીફું ખાંડવું તે ક્યાં સુધી.
શબ્દના ચરખા પુરાણા થઈ ગયા,
રોજ ઝીણું કાંતવું તે ક્યાં સુધી.
‘કીર્તિ’ના ચરણો સદા ચંચલ મળે,
પુચ્છ ઉપર નાચવું તે ક્યાં સુધી.
- કીર્તિકાન્ત પુરોહિત
ગાંધી-હૃદય આરપાર ત્રણ ગોળી સિવાય જેની કલમ જઈ શકી તે કલમ જ સમજનાં લક્ષ્યચૂકને વીંધી શકે. જો કે લક્ષ્યવેધમાં રોજ જિંદગી જ વીંધાતી હોય ત્યારે સમજની ડાળ ઝૂકી-ઝૂકીને તૂટવાને બદલે ક્યાં સુધી નહિં ડગમગે…. ?!!
શબ્દાર્થ : ધૂમર – ધુમ્મસ, ફીફું – અનાજનું ફોતરું, ફીફું ખાંડવું – મિથ્યા પ્રયત્ન કરવો.
.
Pinki @ May 5, 2009
સૂર્ય થઈને : ભરત ભટ્ટ ‘ પવન’
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ભરત ભટ્ટ `પવન’ | Comments (6)
સૂર્ય થઈને એ હવે પસ્તાય છે,
રાત એના ભાગ્યમાં ક્યાં થાય છે !
ચાંદનું કિસ્મત જરા જુદું હશે,
ધોળે દા`ડે એ કદી દેખાય છે.
એક પણ શ્રોતા નથી માટે હવે,
ભીંત સામે વારતા મંડાય છે.
સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ છતાં,
જીવતેજીવ કોઈ ત્યાં ક્યાં જાય છે ?
તાપણું તો છે બહાનું નામનું,
આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.
- ભરત ભટ્ટ `પવન’
.
Pinki @ May 4, 2009
ડૅથ સર્ટિફીકેટ : એષા દાદાવાળા
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, એષા દાદાવાળા | Comments (8)
પ્રિય દીકરા,
યાદ છે તને ?
તું નાની હતી અને આપણે પાનાં રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ…..
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફીકેટ,
તું મારા હાથમાં મૂકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે… મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફીકેટ્સ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડૅથ સર્ટિફીકેટ
પણ મારે જ સાચવવાનું…?!!
- એષા દાદાવાળા
પોતાની સહેલીના ડૅડીના હાથમાં તેનું ડૅથ સર્ટિફીકેટ જોઈ એક નાનકડું મન વ્યથિત થઈ ગયું અને તેની સંવેદનાએ ઉપાડી કલમ….. અને સાથે જ આપણને મળે છે એક ‘નાનકડી’ પુખ્ત કવિયત્રી. એષાનું આ પ્રથમ કાવ્ય અને પ્રથમ પ્રકાશિત કાવ્ય પણ આ જ !! કવિ બનવા માટે પહેલાં તો ‘ માણસ’ બનવું પડે એવું નથી લાગતું ?!!
જેની સાથે દેખીતો કોઈ સંબંધ ન’તો એવી એક વ્હાલી દીકરીનાં મૃત્યુને ત્રણ વર્ષ બાદ – આજે પણ મારાથી ભૂલવું શક્ય નથી બન્યું, તો તે બાપ કન્યાદાનની ઉંમરે તેને અગ્નિદાહ આપ્યા બાદ કેમ ભૂલી શકે ?! ડૅથ સર્ટિફીકેટ જ જીવની જેમ સાચવેને ! ….કાશ ! ઈશ્વરને ત્યાં પણ ‘ પગફેરા’ નો રિવાજ હોત …….?!!
.
Pinki @ May 2, 2009
પગફેરો : એષા દાદાવાળા
Posted in: સાહિત્યપ્રકાર, અછાંદસ, સાહિત્યકાર, એષા દાદાવાળા | Comments (4)
દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!
- એષા દાદાવાળા
ઈશ્વર સર્જિત સમગ્ર બ્રહ્માંડમાં જીવનસંચારની દોરી તેના જ હાથમાં છે. તેની આ એકહથ્થુ સત્તામાં પણ પગફેરાનો રિવાજ ના હોવો જોઈએ ?
.
Pinki @ May 2, 2009
