સાંજ ઢળતી જાય છે : નીતિન વડગામા
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, નીતિન વડગામા | Comments (7)
વાત કયાં ક્યારેય પૂરી થાય છે ?
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દ્રશ્ય આછું-પાતળું ઝીલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સહેજ પણ દેખાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ પણ સમજાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે,
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
- નીતિન વડગામા
કાલે અમદાવાદમાં ઢળી’તી એક ખુશનુમા સાંજ…… પણ હજુ એનાં આછા ગુલાબી-નારંગી રંગો આંખમાંથી આથમ્યા નથી અને યાદ આવી ગઈ નીતિનભાઈની આ ગઝલ ! સાચે જ જીવનમાં પણ અચાનક એવું થઈ જાય અને આપણને લાગે કે, - ને અચાનક સાંજ ઢળતી જાય છે.
Pinki @ September 10, 2008
ઝાકળનાં જળ
Posted in: સાહિત્યકાર, દુર્ગેશ શુક્લ | Comments (2)
ધ્રૂજતાં પાંદડાંને દડતાં ઝાકળનાં જળ !
પળનાં પારેવડાંને ઊડવાની ચળ !
પકડ્યાં પકડાય નહીં પળ પળનાં છળ,
ખળભળી ઊઠે ઊંડાં અંતરનાં તળ !
તટની વેળુમાં પડ્યા ભાતીગળ સળ,
વાયરો વહે ને થાય સઘળું સમથળ.
તોયે હજી વળે નહીં કેમે કરી કળ !
ધ્રૂજતાં પાંદડાંને દડતાં ઝાકળનાં જળ.
- દુર્ગેશ શુક્લ
આજની નવી પેઢીને કદાચ આ નામ એટલું પોતાનું ના લાગતું હોય તો- એક clue રચનામાં
વેળુ શબ્દ અને અટક શુકલ કંઈક તો યાદ આવશે અને છતાં પણ યાદ ના આવે તો , અગર એમ કહું કે કવિ આકાશવાણીમાં એક ઉદ્.ઘોષક હતાં……….. હા, તેઓ આપણા માનીતા ઉદ્.ઘોષક અને કવિ તુષાર શુક્લનાં પિતા છે અને આજે તેમનો જન્મદિન… ..
પળના પારેવડાંને ઊડી જવાની ચળ- રેતની જેમ સરી જાય સમય અને તેનાં છળ તો પામી શકાય એમ જ નથી તો સમય ઊંડે એવાં સળ પાડી જાય કે કો દિ’ કળ વળે જ નહીં અને આપણે ધ્રૂજીએ પાંદડાંની જ્યમ અને આંખમાંથી દડતાં આંસુ ઝાકળ જ્યમ…….!!
Pinki @ September 9, 2008
પ્રાતઃકુંવરીનું ગીત
Posted in: સાહિત્યપ્રકાર, ગીત, સાહિત્યકાર, નીનુ મજુમદાર | Comments (2)
ઓલ્યા પહાડની પાછળ, પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો,
વસ્તર જાતાં રાતનું જાણે આભને ગાલે શર્મભર્યો શેરડો એક છવાયો.
રમતાં’તાં થોડાં તારલા, થોડી બાકી રહેલી રાત,
ભમતા’તા નભમોરલાં, થઈ વાદળિયાં પરભાતે,
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા.
એકદંડિયા મહેલથી પ્રાત:કુંવરીને છોડાવી,
હજાર હાથે લડે બાણાસુર કાળસેના તેડાવી,
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો. – ઓલ્યા.
કુદરતમાં નાહીને પશુપંખીએ મંત્ર જગાવ્યો,
ભૂલાઈ જાતા સામને, પાછો પંખીઓએ ગવરાવ્યો,
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો. – ઓલ્યા.
-નીનુ મજુમદાર
નીનુ મજુમદારે ‘પંખીઓએ કલશોર કર્યો’ ગીતમાં સંધ્યાની વિવિધ રંગોથી કલાત્મક રંગોળી કરી છે તો આ ગીતમાં પરોઢિયે સૂર્યનું પહેલું કિરણ ફૂટે, થોડા તારા પણ આંખમિચોલી કરતા હોય અને વાદળા નભમોરલા બની નૃત્ય કરતા હોય ત્યારે પંખીઓ જાણે ભૂલાઈ જાતા ‘સામવેદ’ને ગાવા માંડે છે ને સૂર્ય સાત અશ્વો પર સવાર થઈ પ્રાતઃકુંવરીને છોડાવી લાવે છે તેનું અદ્.ભૂત વર્ણન કર્યું છે.
Pinki @ September 8, 2008
સુરતનો પૂરપ્રકોપ : ૨૦૦૬
Posted in: સાહિત્યકાર, કિરણ ચૌહાણ, સાહિત્યપ્રકાર, હસ્તપ્રત | Comments (6)
દોડતાં આવ્યાં અને પળમાં જ ડુબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં.
સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયાં.
આમ જો કે મૃત્યુથી તો કોઈ દિ’ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રૂજી ગયાં.
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે,
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયાં.
દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યાં સમયની જિંદગી તાણી ગયાં.
આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
તે છતાં સદ્.ભાગ્ય એ છે કે અમે જીવી ગયાં.
- કિરણ ચૌહાણ
૨૦૦૬માં (તા.૮.૮.૨૦૦૬?) માનવસર્જિત ભૂલને કારણે સુરત આખું પાણીમાં ગરકાવ હતું, ઘરવખરી અને લાશો રસ્તા પર તરતી હતી અને લોકોની યાદો, અરમાન, ડૂબી ગયેલાં….
આપણા વાચકમિત્ર બિમલ દેસાઈની ફરમાઈશ પર આજે કિરણ ચૌહાણની આ ગઝલ તેમના જ હસ્તાક્ષરમાં. મત્લાના શેરથી જ કવિ પોતાની કલમની તાકાત બતાવે છે પણ પૂરની સપાટી ના વધે એટલે આંસુ પણ આંખમાં રોકી લીધેલાં -આ શેર આંખમાં પાણી ના લાવે તો દિલ પર હાથ મૂકીને જોજો કે ક્યાંક હૃદયે ધબકવાનું બંધ તો નથી કરી દીધુંને ?
Pinki @ September 6, 2008
ગુરૂવંદના
Posted in: સાહિત્યપ્રકાર, ગુરૂવંદના, સાહિત્યકાર, પુનિત, સાહિત્યપ્રકાર, ભજન | Comments (1)
આજે આનંદ સાગર છલકાય છે રે,
ગુરૂપૂજનનો અવસર છે આજ.
આજે સૌનાં મુખડાં મલકાય છે રે,
ગુરૂપૂજનનો અવસર છે આજ.
ચિત્ત શુદ્ધિ કેરા સૌ ચંદન લાવજો,
એક લક્ષ કેરા અક્ષતથી વધાવજો,
પ્રેમ પુષ્પોની માળા ચડાવાય છે રે, – ગુરૂપૂજનનો અવસર.
શ્રદ્ધા શ્રીફળ શ્રી ગુરૂચરણે ધરાવજો,
ગુરૂજીના કામ કેરી સુગંધ પ્રસરાવજો,
વળી ભાવનાની ભેટ ચડાવાય છે રે. – ગુરૂપૂજનનો અવસર.
તીર્થોના તીર્થ ગુરૂ દેવ તણા દેવ છે
પુનિત કામ કરે મીઠા ત્યાં મેવ છે
નરહરિ જીવન ધન્ય થાય છે રે. – ગુરૂપૂજનનો અવસર.
-પુનિત મહારાજ
નાના હતાં ત્યારે ચોક અને ફૂટપટ્ટી લઈ, બોર્ડ પર આડા-ઊભાં લીટાં દોરી ટીચર – ટીચર રમતાં પણ આજનાં શિક્ષકદિને તો સ્કૂલમાં પણ ટીચર બની વટ મારી લેતાં અને સાચી ખોટી ઠોસ જમાવતાં. કંકુ, ચોખા અને શ્રીફળથી આમ તો ગુરૂપૂજન કરીએ પણ આજે પુનિતમહારાજના શબ્દોથી શબ્દશઃ ગુરૂવંદના …….
Pinki @ September 5, 2008
આપણી વાત : ડૉ. મહેશ રાવલ
Posted in: સાહિત્યપ્રકાર, ગઝલ, સાહિત્યકાર, ડૉ.મહેશ રાવલ, સાહિત્યપ્રકાર, માણસ | Comments (9)
રેતી, દરિયો, પથ્થર માણસ
તડકો, છાંયો, ઝરમર માણસ
રસ્તો, કેડી, ભેખડ, કોતર
માટી, સંગેમરમર માણસ
પર્ણો, ડાળી, કૂંપળ, કાંટા
લીલી-પીળી કળતર માણસ
પંખી, માળો, પીંછા, ટહુકો
ફડકો, ડૂમો, થરથર માણસ
શબ્દો, વાણી, ટીકા-ટિપ્પણ
બરછટ, લીસ્સો, અક્ષર માણસ
જીવન, સપનાં, ઈચ્છા, વળગણ
ધીમું ધીમું ગળતર માણસ
અફવા, કિસ્સો, ચર્ચા, ચણભણ
અડધો, આખો, ઉત્તર માણસ
ઢીલો, પોચો, અથરો, ધીરો
નફ્ફટ, નકટો, નક્કર માણસ
આઘો, ઓરો, ભીતર-બહારે
ઝાંખો, પાંખો, ઈશ્વર માણસ !
- ડૉ. મહેશ રાવલ
માણસને સમજવો કે માત્ર જાણવો તે પણ બ્રહ્મજ્ઞાન મેળવવા જેવું જ કપરું છે. પ્રકૃતિના સાંનિધ્યમાં પણ માણસગીરીમાં કોઈ ફર્ક નથી પડતો ને તેની સાથે જ અંતે ‘ઝાંખો, પાંખો, ઈશ્વર માણસ !’ કહીને સુપેરે તેની માણસાઈને પણ બિરદાવે છે અને .’આપણી વાત’ શીર્ષક યથાર્થ સાર્થક થાય છે.
દરેક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહેલો છે. પણ મહેશ અંકલ માટે હું કહીશ કે, સ્ત્રીનો હાથ નહીં પણ સ્ત્રીનો ‘કાન’ રહેલો છે. અંકલની ગઝલના પ્રથમ શ્રોતા હોય છે હર્ષાઆંટી તમે સમજી જ ગયા હશો હવે એમની ગઝલનો રાઝ ……? આજે મહેશઅંકલના જન્મદિને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ….
.
Pinki @ September 4, 2008

